તા.૮/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અત્યાર સુધીમાં ૧૨.૦૯ લાખથી વધુ P.M.J.A.Y. કાર્ડ સાથે રાજકોટ જિલ્લો ગુજરાતમાં રાજ્યમાં ત્રીજા સ્થાને
હવેથી નાગરિકો પોતાની જાતે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ ઓનલાઇન મેળવી શકશે
Rajkot: ભારત સરકાર દ્વારા લોકોની આરોગ્ય અને સુખાકારી માટે ‘‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. ૧૦ લાખ સુધીની સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે. ત્યારે ‘‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” (P.M.J.A.Y.) કાર્ડ બનાવવાનું હવે સરળ બન્યું છે. આ યોજના અંતર્ગત તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૩થી લોકો પોતાની જાતે જ પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઓનલાઇન મેળવી શકશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના નેજા હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. નિલેશ રાઠોડના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લામાં ઓનલાઇન એપ્લીકેશન થકી ૨૫,૩૬૫ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૨,૦૯,૯૪૩ પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઇસ્યુ કરાયા છે, જે ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિનામુલ્યે કાઢી આપવામાં આવે છે. જો કોઇપણ વ્યક્તિ આ યોજનાનું કાર્ડ કાઢવા માટે ફી કે રૂપિયાની માંગણી કરે તો તેની જાણ તાત્કાલીક જિલ્લા કક્ષાએ આરોગ્ય વિભાગમાં કરવા તેમજ લોકો પી.એમ.જે.એ.વાય. કાર્ડનો વધુમાં વધુ લાભ લે, તેવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
આયુષ્માન કાર્ડ કાઢવાની પ્રક્રિયા :
મોબાઈલમાં આયુષ્માન એપ. ડાઉનલોડ કરવી. લાભાર્થીનો ફોટો મોબાઈલ એપથી સરળતાથી લઇ શકાશે. કોમ્પ્યુટર અને લેપટોપમાં કેમેરાની જરૂર પડશે. એપ.માં લોગ-ઈન થવા માટે બે ઓપ્શન આપેલા છે, ૧) Beneficiary અને ૨) Operator. જેમાં Beneficiary સિલેક્ટ કરીને Family ID ઓપ્શનમાં રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. જેનું સ્ટેટસ Approved/Verify બતાવે, તેના કાર્ડ બની ગયા છે તેમ સમજવું. જો લાભાર્થીનો આધાર કાર્ડ અને રેશન કાર્ડનો ડેટા ૮૦% સ્કોર મેચ થયેલો હશે તો તરત જ કાર્ડ બની જશે અને ડાઉનલોડ પણ કરી શકશે. પરંતુ જો ૮૦%થી સ્કોર ઓછો હશે તો તે કાર્ડ અપ્રુવલ માટે જશે અને અપ્રુવલના આઈ.ડી.માંથી અપ્રુવ થશે પછી કાર્ડ ડાઉનલોડ થશે. ત્યાં સુધી Pending બતાવશે. આવકના દાખલાને આધારે પણ ઓનલાઇન કાર્ડ કાઢી શકાશે. તેમજ કાર્ડ રિન્યુઅલ પણ હવે ઓનલાઇન એપ.થી થઈ શકશે.