તા.૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજીત કરવામાં આવી છે, જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં ગામોગામ યાત્રા અંતર્ગત નાગરિકોને યોજનાકિય માહિતી અને માર્ગદર્શન આપીને લાભો વિતરિત કરવામાં આવી રહ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પડધરી તાલુકાના થોરીયાળી ગામે કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઇ દેથરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામલોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિવિધ યોજના અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભાવોના હસ્તે ગામના સફળ મહિલાઓ, વિદ્યાર્થિઓ, રમતવીરો, સ્થાનિક કલા કારીગરોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત પોતાને મળેલા લાભની રજુઆત કરી હતી. ગામના ખેડુતો માટે ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અગ્રણીશ્રી શૈલેષભાઇ ગજેરા, રોહિતભાઇ ચાવડા, સરપંચશ્રી, સંબંધિત અધિકારીઓ તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.