Rajkot: “વયસ્ક મતદાતાઓના ઘર આંગણે પહોંચ્યું રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર
તા.૨૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટના વૃદ્ધ અને અશક્ત નાગરિકોએ ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન
૯૦ વર્ષીય શિવલાલભાઈએ “હોમ વોટીંગ સુવિધા” માટે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રનો માન્યો આભાર
Rajkot: લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મતવિસ્તારના ૬૯- રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં આજે ૯૦ વર્ષીય શ્રી શિવલાલભાઈ પટેલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચુંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું હતું.
આ તકે શ્રી શિવલાલાભાઈએ જણાવ્યું હતું કે, પોલીયોની અસર અને વધતી ઉંમરના કારણે મારાથી ચાલી શકાતું નથી. તેથી હોમ વોટીંગ સુવિધાનો લાભ લઈને મે મતદાન કરીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે હું દરેક નાગરીકને અપીલ કરું છું કે, અચુક મતદાન કરીએ અને દેશને વધુ મજબૂત બનાવીએ. તેમજ હોમ વોટીંગ સુવિધા અંગે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રી શિવલાલ પટેલ રાજકોટના એવા મતદાર છે કે, જેમણે દેશની આઝાદી નજરે નિહાળી હતી અને સ્વતંત્ર ભારતની વર્ષ ૧૯૫૨માં યોજાયેલી પ્રથમ ચૂંટણીના સાક્ષી રહ્યા હતા.
આ અવસરે મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારીશ્રી પાર્થ કોઠીયા, ઝોનલ ઓફિસર શ્રી અસિતભાઈ ટાંક, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર શ્રી ભાવિક છાસિયા, માઇક્રો ઓબઝર્વરશ્રી અશ્વિન રામાણી, બી.એલ.ઓ. અંકુર માવાણી, તેમજ ફોટોગ્રાફર અને પોલીસની ટીમ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.
બોક્સ મેટર
શું છે હોમ વોટીંગની પ્રક્રિયા ?
હોમ વોટીંગ માટે ફોર્મ ૧૨-ડી ભરવાનું હોય છે. જેના માટે બી.એલ.ઓ દ્વારા વયસ્કો અને દિવ્યાંગ મતદારોનો સંપર્ક કરવામાં આવે છે. ત્યારબાદ ચૂંટણીપંચ તરફથી વયસ્કો અને દિવ્યાંગ મતદારોને ઘરે રહીને મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી મળે છે. પોસ્ટલ બેલેટ પર ઉમેદવારના નામ અને ફોટાવાળા લિસ્ટમાં જેને મત આપવાનો છે તેની સામે મતદાન કુટિરની અંદર સ્ટેમ્પ લગાવે છે. પછી આ પત્રક વાળીને ઝોનલ અધિકારીને સુપરત કરે છે. જેમના દ્વારા મતદાતાના મતને કવરમાં સીલ કરવામાં આવે છે. આ સીલ કરેલું કવર એ.આર.ઓ.ને આપવામાં આવે છે અને આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.