વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્યમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2005-06 માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જે રવિ કૃષિ મહોત્સવ 2024ની ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી.
આહવા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, સુબીર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, અને વઘઇ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઇ ભોયે, તેમજ વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઇ માંગ્યાભાઇ ગાવિતના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજી ખેડુતોને ખેતીની જાણકારી આપવામાં આવે છે તેમજ વિવિધ યોજનાકીય સહાય આપવામાં આવે છે ત્યારે તેનો લાભ લેવાં, આહવા ખાતે રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ તેમજ આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ ખેડુતોને અપીલ કરી હતી.સાથે જ દરેક લોકો ખેતી સાથે જોડાઇ પ્રાકૃતિક ખેતી કરે તે માટે ખેડુતોને આહવાન કર્યું હતુ.રવિ પાક માટે આધુનિક કૃષિની તાંત્રિક મંજુરી મળી રહે તે માટે કૃષિ લક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિની જાણકારી મળી રહે તે માટે સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષથી રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ ડાંગ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતુ.કૃષિ વૈજ્ઞાનિક પ્રતીક પી જાવીયાએ મિલેટ્સના પાકો વિશે જાણકારી આપી હતી. ડાંગનું પ્રખ્યાત મિલેટ્સ નાગલી (રાગી) ની ખેતીમાં વધારો કરી તેનું મહત્વ વધારવા અને મિલેટ્સના ઉપયોગ થી ખેડૂતની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે પ્રયત્ન કરવા ખેડૂતોને જણાવ્યું હતુ.ખેતી વિશે સાચી જાણકારી મેળવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખેતી કરવા કૃષિ વૈજ્ઞાનિક જીગ્નેશભાઇ ડોબરીયાએ જણાવ્યું હતુ.પ્રાકૃતિક ખેતી કરનાર ભુરાપાણી ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ સહારેએ પ્રાકૃતિક ખેતીના ફાયદા તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયમ વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.ડાંગ જિલ્લાના આહવા સુબીર અને વઘઈ તાલુકામાં યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં FPO પ્રદર્શન, મિલેટ પાકોની વૈજ્ઞાનિક ખેતી, જમીન ચકાસણી માટેના સ્ટોલ, ડ્રોન ટેક્નોલોજી, અન્ન વાનગીઓના સ્ટોલ જેવા વિવિધ 15 જેટલાં સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં વિવિધ ખેતી સાધનો, તેમજ વિવિધ યોજના અંતર્ગત લાભ મેળવનાર ખેડૂતોને મંજૂરી હુકમ તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતા.આહવા ખાતે આયોજીત કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના સદસ્યમાં મયનાબેન બાગુલ, નિલમબેન ચૌધરી, સારુંબેન વળવી, બીબીબેન ચૌધરી, મુરલીભાઈ, આહવા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કમલેશભાઈ વાઘમારે, આહવા તાલુકા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, પ્રીતિબેન, આહવા ગ્રામ પંચાયત સરપંચ હરિચંદભાઈ ભોયે, ઉપ સરપંચ હરિરામ સાવંત સહિતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી કાજલ આંબલિયા, આહવા તાલુકા મામલતદાર યોગેશભાઈ ચૌધરી, જિલ્લા નોડલ અને સંયુક્ત બાગાયત નિયામક એચ એમ. ચાવડા, જિલ્લા પંચાયત જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદભાઇ પટેલ, નાયબ પશુપાલન અધિકારી હર્ષદભાઈ ઠાકરે, પશ્ચિમ આહવા રેંજ ફોરેસ્ટ અધિકારી વિનયભાઈ પવાર, સહિતના અધિકારીઓ, ખેતીવાડી વૈજ્ઞાનિકો તેમજ ખેડૂતોમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લાનાં ત્રણેય તાલુકામાં યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનાં આમંત્રણ પત્રિકામાં ડાંગ જિલ્લા પંચાયતનાં સિંચાઈ અને ખેતીવાડી સમિતિનાં અધ્યક્ષ હરીશભાઈ બચ્છાવનું નામ લખવા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ ભૂલી જતા ચેરમેન લાલઘૂમ થયા હતા.અને ચેરમેન દ્વારા રીતસરનો અધિકારીઓનો ઉઘડો લીધો હતો.ડાંગ જિલ્લા પંચાયતમાં સિંચાઈ અને ખેતીવાડી સમિતિનાં અધ્યક્ષ તરીકે હરીશભાઈ બચ્છાવને આરૂઢ કરવામાં આવ્યા છે.ત્યારે પ્રોટોકોલ મુજબ ખેતીવાડીનાં જાહેર કાર્યક્રમનાં આમંત્રણ પત્રિકામાં ડાંગ જિલ્લા પંચાયતનાં ખેતીવાડી ચેરમેનનું નામ લખવાનું હોય છે.પરંતુ રીઢા બનેલ ડાંગ જિલ્લાનાં ખેતીવાડી અધિકારીઓ પોતાના જ વિભાગનાં મુખ્ય અધ્યક્ષને ભૂલી જતા તેઓની ઘોર બેદરકારી સામે આવવા પામી છે.અહી અધિકારીઓ ખેતીવાડી સમિતિનાં ચેરમેનને જ ભૂલી જતા હોય તો આમ જનતાની વાત જ શી થાય.આ બાબતે ડાંગ જિલ્લા પંચાયતનાં ખેતીવાડી સમિતીનાં ચેરમેન હરીશભાઈ બચ્છાવે જણાવ્યુ હતુ કે હું અધ્યક્ષ હોવા છતાંય રવિ કૃષિ મહોત્સવની આમંત્રણ પત્રિકામાં અધિકારીઓએ મારૂ નામ લખ્યુ નથી.તથા કાર્યક્રમમાં મને આમંત્રણ પણ આપવામાં આવ્યુ નથી.જે અધિકારીઓની ઘોર બેદરકારી છે.આ અધિકારીઓની ઘોર બેદરકારી બાબતે મે ઉપલા લેવલે રજુઆત કરી છે.જેમાં જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવશે. આ બાબતે ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલે ને પૂછતા તેઓ જણાવ્યુ હતુ કે જિલ્લા ખેતીવાડી અધ્યક્ષને અમોએ આમંત્રણ આપ્યુ હતુ.પરંતુ આમંત્રણ પત્રિકામાં તેઓનું નામ ન હોવાથી નારાજ થયા છે.આમંત્રણ પત્રિકામાં નામો રાજ્યકક્ષાથી પસંદગી થયા હતા.અમારી કોઈ ભૂલ નથી..