હીરાસર એરપોર્ટના નિર્માણમાં રોયલ્ટીનું સરકારને મોટું નુકસાન, એરપોર્ટ બનાવતી કંપનીએ સરકારને લગાવ્યો કરોડો રૂપિયાનો ચૂનો
રાજકોટના હીરાસર એરપોર્ટના નિર્માણમાં રોયલ્ટીનું સરકારને મોટું નુકસાન થયું છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણનો કોન્ટ્રાક્ટ મધ્યપ્રદેશની દિલિપ બિલ્ડકોન નામની કંપનીને મળ્યો છે. કોન્ટ્રાક્ટર કંપનીએ જમીન સમતલ કરતા નિકળેલા ખનિજની રોયલ્ટી ભરવાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. કોન્ટ્રાક્ટર કંપની દ્વારા કાયદાને તોડીને સરકારી તિજોરીમાં રોયલ્ટી જમા કરાવી નથી. એરપોર્ટ નિર્માણ વખતે જમીનનું લેવલ કરતા સમયે કાળા પથ્થર અને માટી મોટા પ્રમાણમાં નિકળ્યા હતા. કાળા પથ્થરનો ઉપયોગ બિલ્ડિંગ નિર્માણમાં થાય છે જેની મોટી રોયલ્ટી સરકારને મળે છે.
હીરાસર એરપોર્ટનું નિર્માણ રાજકોટ કલેક્ટર અરૂણ મહેશબાબુના સુપરવિઝનમાં થઈ રહ્યું છે. આ એરપોર્ટનું નિર્માણ કાર્ય કરી રહેલી કોન્ટ્રાક્ટર કંપની દિલિપ બિલ્ડકોને પથ્થર માટી એરપોર્ટના નિર્માણમાં જ વાપરી નાખ્યા હોવાની વાત સામે આવી છે. સરકારને નુકસાનીની જાણ થતા દિલિપ બિલ્ડકોને રોયલ્ટી માફી માટે માગ કરી છે. રાજકોટના ભુસ્તરશાસ્ત્રીની કચેરીએ કાયદા મુજબ માફી પાત્ર નહીં હોવાનો મત આપ્યો હતો. ખાણ ખનિજ કમિશનરે પણ રોયલ્ટી માફી પાત્ર નહી હોવાનું કંપનીને કહી દીધું છે.
હાલમાં લોકોમાં સૌથી મહત્ત્વનો ચર્ચાનો વિષય કલેક્ટર તરફથી કંપનીને રોયલ્ટી ભરવા માટે આદેશ કેમ નથી થયો તે બન્યો છે. વર્ષ 2017માં ગુજરાત સરકારે બનાવેલા ખનિજની રોયલ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. દિલિપ બિલ્ડકોને એરપોર્ટ બનાવી નાખ્યું અને આગામી એપ્રિલ કે મે માં સરકારને સોંપી પણ દેશે. કોન્ટ્રાક્ટર કંપની નિર્માણ પૂર્ણ કરીને નિકળી ગઈ પછી રોયલ્ટીનો જવાબ કોણ આપશે તે પણ એક સળગતો સવાલ છે.