ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ ધરણા કરનાર પહેલવાનોએ ગુરુવારે ઓલિમ્પિક સંઘ અધ્યક્ષ પીટી ઉષા અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુરના નિવેદનો પર વાંધો વ્યક્ત કર્યો છે અને ત્રણ મહિના પહેલા બંધ રૂમમાં થયેલા કરારની શરતોને લઈને ચેતવણી આપી છે. પહેલવાનોએ એમ પણ કહ્યું કે મધ્યસ્થતાના સમયે ઘણી વખત અમને ડરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખેલ મંત્રી કહી રહ્યાં છે કે 12 કલાક અમે લોકો સાથે વાતચીત કરી છે. જોકે સત્ય એ છે કે તેમણે 12 મિનિટ પણ વાત કરી નથી.
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે અમે 12 કલાક સુધી પહેલવાનોને સાંભળ્યા અને એક કમિટી બનાવી. અત્યાર સુધીમાં 14 જેટલી બેઠકો થઈ છે. તમામને એક નિરિક્ષણ સમિતિ સમક્ષ પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી છે. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ શકે છે.