તા.૨૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: કેન્દ્ર – રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ફરી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આ યાત્રાનો પ્રારંભ વેગડી ગામથી ધોરાજી ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ તકે ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની અનેકવિધ યોજનાઓનાં લાભો નાગરિકોને ઘર આંગણે મળી રહ્યા છે ત્યારે પાત્રતા ધરાવતા તમામ નાગરીકો યોજનાઓનાં લાભ લેવાની સાથે સાથે જરૂરિયાતમંદ નાગરીકોને જાણ કરી લાભ અપાવે તે માટે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ સ્થળે પશુ આરોગ્ય કેમ્પ, સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
“ધરતી કહે પુકાર કે” નામક નૃત્ય નાટિકા રજૂ કરી રસાયણથી થતી ખેતીના જમીન પરના દુષ્પ્રભાવ જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ બાળાઓએ પાઠવ્યો હતો. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી રવિભાઈ વડાલીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રામભાઈ હેરભા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી વિરલભાઈ પનારા, શ્રી ભીખાભાઈ, સરપંચશ્રી, અગ્રણીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.વી.ગોહિલ, મામલતદારશ્રી એ. પી.જોશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી કાજલબેન જાની, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. વાછાણી, વિસ્તરણ અધિકારીશ્રી એમ.પી.સોજીત્રા, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.