આસીફ શેખ લુણાવાડા
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી
રાજ્ય સરકાર ગુરુ ગોવિંદનો ઇતિહાસ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છે – મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર
૧૭ નવેમ્બર ૧૯૧૩ માનગઢ ક્રાંતિના મહાનાયક, આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા શ્રી ગોવિંદ ગુરુને શત શત વંદન તથા આદિવાસી સ્વાધીનતા સંગ્રામના ૧૫૦૭ આદિવાસી શહીદ વીરોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ મહીસાગર જિલ્લાના માનગઢ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થતિમાં યોજાયો. ગાયત્રી પરિવાર દ્વારા ૨૧ કુંડી યજ્ઞનું આયોજન કરી શહીદોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહૂતિ આપી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિ-ભેટે મહીસાગરના આરે પ્રકૃતિ-પહાડોના ખોળે અરવલ્લીની ગીરીકંદરામાં વસેલુ માનગઢધામ અનુપમ ઐતિહાસિક ગૌરવવંતું પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીની હાકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજ્જારોની સંખ્યામાં બ્રિટીશરો ભૂરેટીયાઓના દમન-શોષણને વશ નહી થતા નિર્મમ હત્યા કરી જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતાયે ભયંકર બર્બરતા વ્હોરી તા.૧૭-૧૧-૧૯૧૩ના રોજ શહાદત થયેલા ૧૫૦૭ આદિવાસીઓ આજે પણ આપણા માટે દેશભકિતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના બલિદાનને ઈતિહાસને ઉજાગર કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રયાસ કર્યા હતા અને તે પ્રયાસ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ વધારી રહી છે અને રાજ્ય સરકાર ગુરુ ગોવિંદનો ઇતિહાસ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમ બાદ માનગઢ થી પાવાગઢ રથને ૫૨ ગજની ધજા સાથે મંત્રી સહિત મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.