જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે પાલનપુર કલેકટર કચેરી ખાતેથી LED મોબાઈલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
19 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ કેળવાય અને ખાસ કરીને ઇવીએમ અને વિવિપેટ અંગેની લોકોની ભ્રામક માન્યતાઓ દૂર થાય એ હેતુથી જિલ્લામાં જન જાગૃતિ અર્થે LED મોબાઈલ વાન-નિદર્શન રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેને આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાને લઈ મતદારો જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમો કરવા સુચના થયેલ છે.જે અન્વયે જિલ્લાના કુલ- ૯ (નવ) વિધાનસભા મતદાર વિભાગમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા કુલ-૦૨ LED મોબાઈલ વાન ફાળવવામાં આવેલ છે. આ LED મોબાઈલ વાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારો, જ્યાં ઓછું મતદાન થયું છે તેવા બુથ વિસ્તારો, ગ્રામ્ય પંચાયત, યુનિવર્સિટી, કોલેજ, ગામનો ચોરો, એ.પી.એમ.સી.,રવિવારીય બજારો, મોલ, થિયેટર, તહેવાર વાળી જગ્યાઓ, બગીચાઓ, કડીયા મજૂર બજાર સહિત જ્યાં લોકો એકત્ર થતા હોય એવા સ્થળોએ ભ્રમણ કરી મતદાન અંગે જાગૃતિ આપવાનું કામ કરશે. તેમજ સ્થળ પર ઇવીએમ અને વિવિપેટનું નિદર્શન કરી બતાવવામાં આવશે.LED મોબાઈલ વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે ગઢવી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.