ભવનાથમાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે એસટી તંત્રની ચાવીરુપ ભૂમિકા
મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને બસ સ્ટેન્ડ અને બસ અંદરની કચરાપેટીમાં પ્લાસ્ટિક નાખવા માટે સતત અપાતો સંદેશ : મુસાફરો દ્વારા પણ અપાતો સહયોગ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જતું અટકે તે માટે એસટી તંત્ર ચાવીરુપ ભૂમિકા અદા કરી રહ્યું છે. મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને બસ સ્ટેન્ડ અને બસ અંદરની કચરાપેટીમાં પ્લાસ્ટિક નાખવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સતત અપાતો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે મુસાફરો પણ જરુરી સહયોગ આપી રહ્યા છે.
મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને ભવનાથ સુધી જવા – આવવા માટે અલાયદી પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભર ઉપરાંત દેશમાંથી પધારતા યાત્રિકો માટે ૬૫ જેટલી મીડી બસ એટલે કે મધ્યમ કદની બસની સેવા શરૂ છે.
જૂનાગઢ એસટી ડેપોના મેનેજર શ્રી વી.એમ. મકવાણાએ જણાવ્યુ કે, યાત્રિકોને ભવનાથ આવાગમન માટે એસટી બસ સ્ટેન્ડમાં અલગ સુવિધા ઉભી કરવામાં આવી છે. જુદી રાઉટીઓ ઉભી કરવાની સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવામાં આવી છે. જેના માધ્યમથી ખાસ કરીને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત હોય અને મેળા વિસ્તારમાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે ખાસ એસ ટી તંત્રના કર્મચારી -વ્યવસ્થાપકો દ્વારા મેળામાં પ્લાસ્ટિક સાથે ન લઈ જવા માટે સતત સંદેશ આપવામાં આવે છે. લોકો પણ તેમાં સહયોગ કરી રહ્યા છે.