તા.૨/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કામકાજી મહિલાઓ માટે નવા હોસ્ટેલ અને આંગણવાડી સહ ઘોડિયાઘર બનાવાશે
Rajkot: અધિક નિવાસી કલેકટરશ્રી ગાંધીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે “મિશન શક્તિ” યોજનાના અમલીકરણ માટેની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રીએ મહિલા સુરક્ષા અને મહિલા સામર્થ્યને લગત વિવિધ યોજનાઓ અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં કામકાજી મહિલાઓ માટે બનાવવામાં આવનાર નવા હોસ્ટેલ -સખી નિવાસ માટે મળેલ દરખાસ્તો અને આંગણવાડી સહ ઘોડિયાઘરની નવી યોજના વિષે વિસ્તૃત ચર્ચા કરી મહિલા તથા બાળકોની સલામતી માટે ખાસ સૂચનો અપાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની શક્તિ યોજના અંતર્ગત સખીવન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, બેટી બચાવો બેટી પઢાવો, નારી અદાલત, હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, શક્તિ સદન, સખી નિવાસ અને રાષ્ટ્રીય ક્રેસ યોજના સમાવિષ્ટ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા હિંસાથી અસરગ્રસ્ત કે તાત્કાલિક કાળજીની આવશ્યકતા હોય તેવી મહિલાઓને સહાય, સમર્થન પૂરા પાડવા તથા પુનર્વસન હેતુ “મિશન શક્તિ” યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત જાતિગત અસમાનતા અને લૈંગિક પસંદગી નાબૂદ કરી બાળકીઓના અસ્તિત્વનું રક્ષણ અને વિકાસ સુનિશ્ચિત કરવા કામગીરી કરવામાં આવે છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન મકવાણા, સમાજ કલ્યાણ (અ.જા) નાયબ નિયામકશ્રી આનંદબા ખાચર, મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દવે, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સોનલબેન, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર(ગ્રામ્ય) શ્રી સાવિત્રીબેન નાથ, મહાનગરપાલિકા પ્રોગ્રામ ઓફિસર શ્રી તૃપ્તિબેન કામલીયા વગેરે અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.