તા.૨૨/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શ્રી શિશપાલજીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લાઓના યોગ ક્ષેત્રના ગુરૂઓ, ટ્રેનર્સ તથા પ્રચારકોનું યોગ સ્નેહમિલન યોજાયું હતું.
આ પ્રસંગે ચેરમેનશ્રી શિશપાલજીએ ઉપસ્થિત સર્વેને નવા વર્ષની શુભેચ્છા પાઠવી ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. અને કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના યોગ બોર્ડનું લક્ષ્ય છે માનવીનુ નિરામય સ્વાસ્થ્ય. શારીરિક – માનસિક રોગનો સૌથી મોટો એક જ ઉપાય છે અને તે છે યોગ. યોગનો આ પ્રાચીન વારસો જો આજના આધુનિક ફાસ્ટફુડના સમયમાં રોજ બરોજના જીવનમાં અપનાવવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે. ગુજરાત યોગ બોર્ડે એક લાખ ટ્રેનર્સ તૈયાર કર્યા છે. હવે દસ લાખ ટ્રેનર્સ તૈયાર કરાશે.
યોગ બોર્ડના ચેરમેને આ પ્રસંગે કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુને વધુ લોકોને યોગમય બનાવવા ગુજરાતભરમાં એક ડિસેમ્બરે દરેક જિલ્લા – તાલુકામાં સૂર્યનમસ્કાર પ્રતિયોગિતા યોજાશે. અને ૨૫ ડિસેમ્બરે ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે પણ યોગ સ્પર્ધા યોજાશે.
આ પ્રસંગે સંસદ સભ્યશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, રામકૃષ્ણ આશ્રમના મહંત શ્રી નિખિલેશ્વરાનંદજી વગેરેએ રોજિંદા જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને યોગ કરવા પ્રેરણા પૂરી પાડી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી અને આત્મીય યુનિવર્સિટીના પ્રો વાઈસ ચાન્સેલર ડોક્ટર દેશકર તથા રજીસ્ટ્રાર ડોક્ટર ડી.ડી.વ્યાસ વચ્ચે મેમરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચેરમેનશ્રી શિશપાલજીનું શાલ તથા સ્મૃતિચિન્હ એનાયત કરી વિવિધ સંસ્થાઓ તથા અગ્રણી નાગરિકોએ સન્માન કર્યું હતું.
વિવિધ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિના રાજકોટના અગ્રણીઓ, શહેરની પ્રમુખ સામાજિક સંસ્થાના સંચાલકો, મહિલા સશક્તિકરણ માટે કાર્યરત અગ્રણી માનુનીઓ, વગેરેનું સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જૈમીનભાઇ ઠાકર, વિવિધ જિલ્લાઓના યોગગુરૂઓ, યોગ કોચ તેમજ યોગ માર્ગદર્શક ઉપસ્થિત રહ્યા હતા.