NATIONAL

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ભૂસ્ખલનથી હાહાકાર, 200 રસ્તાઓ પર અવર-જવર બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને સતત વરસાદે મોટી મુશ્કેલીઓ ઊભી કરી છે. આ પ્રાકૃતિક આફતના કારણે રાજ્યમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે, જેના પરિણામે મુખ્ય રસ્તાઓ તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થઈ ગયા છે. આનાથી લોકોનું દૈનિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 200 રસ્તાઓ પર અવર-જવર બંધ થઇ ગઈ છે. કુલ્લુ, લાહૌલ-સ્પીતિ, કિન્નૌર, ચંબા અને શિમલા જેવા જિલ્લાઓમાં આ સ્થિતિની ગંભીર અસર જોવા મળી રહી છે, જેના કારણે આ વિસ્તારો બાકીના રાજ્યથી અલગ પડી ગયા છે.

કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદે સ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે. અખાડા બજાર અને ગાંધી નગર જેવા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં રસ્તાની બાજુમાં ઉભેલાં વાહનોને નુકસાન પહોંચ્યું છે. સોલાંગ નાલા, ગુલાબા, અટલ ટનલ અને રોહતાંગમાં તાજી હિમવર્ષાને કારણે વહીવટીતંત્રે નહેરુ કુંડથી આગળની વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત, બનાલા ખાતે ભૂસ્ખલન થતાં મનાલી-કીરાતપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવર-જવર ઠપ્પ થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, રસ્તા પર પથ્થરો પડવાનું ચાલુ હોવાથી હજુ સુધી સમારકામનું કામ શરૂ કરી શકાયું નથી.

કુલ્લુ શહેરની વચ્ચેથી પસાર થતી સરવરી નાળામાં પાણીનું સ્તર એટલું વધી ગયું કે ઘણાં વાહનો તેમાં ફસાઈ ગયા છે. નાળાની નજીક પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે, જ્યારે આસપાસના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. જાણવા મળ્યું છે કે, કુલ્લુ દશેરા દરમિયાન સરવરી નાળાના કાંઠે કાટમાળ નાખીને એક કામચલાઉ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. આ પાર્કિંગનો ઉપયોગ લોકો નિયમિતપણે કરતા હતા, પરંતુ પાણીનું સ્તર વધવાથી ત્યાં ઉભેલાં વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં. આ સાથે જ, ગાંધી નગર અને અખાડા બજારમાં ગટરોમાં કચરો ભરાઈ જવાથી પાણીનો પ્રવાહ બદલાઈ ગયો, જેના કારણે શેરીઓ અને ઘરોમાં પાણી ફરી વળ્યું.

ભૂસ્ખલનની ઘટનાઓએ ચંદીગઢ-મનાલી હાઇવેને ઘણી જગ્યાએ બંધ કરી દીધો છે. કુલ્લુ અને મંડી જિલ્લાઓમાં ડઝનબંધ રસ્તાઓ પર અવરોધ ઊભો થયો છે. લાહૌલ-સ્પીતિ જિલ્લામાં ભારે હિમવર્ષાને કારણે રાજ્યના આ ભાગનો દેશના અન્ય હિસ્સાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નારકંડા ખાતે હિમવર્ષાને લીધે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 (હિન્દુસ્તાન-તિબેટ રોડ) બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેહા-ચોપાલ અને ડોદરા-ક્વારને જોડતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. 8,770 ફૂટની ઊંચાઈએ આવેલું ખારાપથર ગામ પણ પ્રભાવિત થયું છે, જ્યાં થિયોગ-હાટકોટી હાઇવે પર અવર-જવર ખોરવાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!