“શિવરાત્રીના મેળામાં બનાવટી નાગા બાવાથી સાવધાન”… વિજ્ઞાન જાથા
-વર્તમાન સ્થિતિ ધ્યાને રાખી શિવરાત્રીના મેળામાં સાવધાની રાખવા જાથાની અપીલ.
– બનાવટી બાવા પાસેથી માદક પદાર્થ, ચલમની ઘુંટ ભારે પડશે.
– સી.સી. ટીવી કેમરાથી સજ્જ મેળો લોકો માટે લાભપ્રદ. – પાછલા વર્ષોમાં બનાવટી બાવાથી અનેક લોકો છેતરાયાના કિસ્સા ચોંકાવનારા સાબિત.
અમદાવાદ : જુનાગઢમાં મહાકુંભ શિવરાત્રી-મેળાનો દરજ્જો મળ્યો છે ત્યારથી સરકારી તંત્રે ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી શ્રદ્ધાળુઓ માટે લાભપ્રદ સાબિત થવાનું છે. મેળામાં ઠેરઠેર છુપીઆ કેમેરા ગોઠવવાના કારણે છેતરપિંડી, અશોભનીય વર્તન, વાણી, વ્યવહાર ઉપર નિયંત્રણ રહેશે તેમાં બેમત નથી. આ વર્ષે મેળો માર્ચ ૫ મી થી માર્ચ તા. ૮ સુધી યોજાવાનો છે જેમાં સૌ કોઈને આદર સાથે ધાર્મિક અહોભાવ જોવા મળે છે. પાછલા વર્ષોમાં પરપ્રાંતિય સાથે બનાવટી નાગા બાવાના તર્કટથી અનેક શ્રદ્ધાળુઓ ભોગ બન્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. વર્તમાન સ્થિતિ ધ્યાને રાખી પુરતી તકેદારી સાથે બનાવટી નાગાબાવાના અંગ કસરતો, પ્રસાદ, ચલમની ઘુંટ, કેફી પદાર્થ ઉન્માદના કારણે પીવાથી પોતાના શરીર ઉપરની કિંમતી વસ્તુઓ, રૂપિયાના પાકીટ, સોનાના ચેઈન, દાગીના ગુમ ન થાય તે માટે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી લોકશોને સાવધાની રાખવા અનુરોધ કરે છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે પાછલા નવ-દશ વર્ષથી મેળા ઉપરાંત બનાવટી વેશભૂષામાં ધાર્મિક વેશપરિધાન, નાગા બાવાનું તર્કટ રૂપ ધારણ કરીને લોકો સાથે છેતરપિંડીના કિસ્સામાં જાથાએ નજરે જોઈ પર્દાફાશ કર્યા હતા. તેમાં મદારી અને ગુન્હાહિત માનસ ધરાવતા લેભાગુ બનાવટી વેશધારણ કરી પોતાના શરીર ઉપર અંગ કસરત, કેફી પીણું, પ્રસાદમાં મિશ્રણ કરી બેશુદ્ધ અવસ્થાનો લાભ લેતા નજરે પડયા હતા તેવા અનેક કિસ્સા જાથાએ લોકો સમક્ષ મુકયા છે તેના કારણે દર વર્ષ જુનાગઢ શિવરાત્રીના મેળામાં સર્વાંગી સાવધાની રાખવા લોકોને જાગૃત કરવામાં આવે છે. જાથા ઈશ્વર-ભગવાન વિરોધી સંસ્થા નથી. સાચા સાધુ-સંતો પ્રત્યેમ કાયમ આદર રાખે છે. સરકાર તરફના તકેદારીના પ્રયાસો સરાહનીય જોવા મળે છે તેનો જાથાને આનંદ છે. વધુમાં જાથાના પંડયા જણાવે છે કે મેળામાં બનાવટી રાવટી, ધાર્મિક માહોલ, આકર્ષણ થાય તેવા ભક્તિ-ભાવ, શ્રદ્ધાનો ઉન્માદ જોવા મળે તેવા તર્કટ તંબુમાં પ્રવેશતા ત્યાં આપવામાં આવતો પ્રસાદ, ચલમ કે કેફી દ્રવ્ય પીતા સાવધાની રાખવા જાથા અપીલ કરે છે. બનાવટી બાવા ખાસ કરીને યુવાવર્ગને નિશાન બનાવી ચલમની ઘુંટનો આગ્રહ રાખી યેનકેન છેતરપિંડી કરે છે. બેભાન અવસ્થામાં આવતાની સાથે શરીર ઉપરની ચીજવસ્તુ ગાયબ થઈ જાય છે અને રાવટી બહાર ચાલાકીથી મોકલી આપે છે તેથી ભાનમાં આવતા સાચી ખબર ન પડવાનો લાભ બનાવટી બાવા તેના સાગ્રીતોની મદદથી કરી લે છે તેથી સભાનતા રાખવા જાથા અનુરોધ કરે છે.
પાછલા વર્ષોમાં તો બનાવટી નાગા બાવાની ફૌઝ ઉતરતી તેના કારણે અનેક છેતરાયા હતા. શંકાસ્પદ વસ્તુ, પીણું કે અંગ કસરતમાં ઘડીયાળ, વીંટી મુકવી નહિ, મોહ-માયામાં આવી જાવું નહિં તેવું જાથા જણાવે છે.