ખંભાળિયાના ભગવતી હોલ ખાતે “ભૂલકા મેળો” શિક્ષણની વાત, વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો
જિલ્લા પંચાયત અને આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા વાલીઓ- બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી નવતર પ્રયોગ હાથ ધરાયો
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઇ.સી.ડી.એસ શાખા દેવભૂમિ દ્વારકા જિલ્લા સયુંકત ઉપક્રમે પા પા પગલી યોજના અંતર્ગત ભગવતી હૉલ ખંભાળિયા ખાતે “ભૂલકા મેળો” શિક્ષણની વાત, વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી અને ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસરશ્રી પ્રફુલ જાદવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.
ઉપરાંત બાળકો દ્વારા ઇતની સી હંસી, નાની તેરી મોરની જેવા અભિનય ગીત અને યોગ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અગ્રણીશ્રી પી.એસ.જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલાઓ અને બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મહિલાઓ તથા ખાસ કરીને બાળકો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે તેવા ઉદ્દેશ્યથી આજરોજ ભૂલકા મેળા આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, બાળકોએ ઈશ્વરનું સ્વરૂપ હોય છે. જેથી નાના ભૂલકાઓને યોગ્ય પૌષ્ટિક આહાર મેળવે તેમજ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકો યોગ્ય રીતે ગ્રહણ કરે તેની કાળજી રાખવી જોઈએ.
ઉપરાંત મહાનુભાવો હસ્તે પ્રતીકાત્મક બેબી હાઈજીન કીટ તથા પ્રી-સ્કૂલ એજ્યુકેશન લર્નિંગ કીટ વિતરણ કરવામાં આવી હતી.
બાળકોને લગત આરોગ્યની યોજનાઓ વિશે ડૉ. પ્રીતિ સોનૈયાએ, પા પા પગલી પ્રોજેક્ટ વિશે પી.એસ. ઇન્સ્ટ્રકટર હેમાંગી ચાવડાએ, પ્રોજેક્ટ ચેતના વિશે કવિતા રાવતે, સખી વન સ્ટોપ સેન્ટર વિશે પાયલ પરમારે તેમજ પાલક માતા પિતા યોજના વિશે હિનાબેન વાઘેલાએ વિસ્તૃત માહિતી આપી હતી.
ઉપરાંત બાળકો નાની ઉંમરથી જ ફળ, ફૂલ વગેરે વિશે માહિતગાર થાય તે હેતુથી ફળ-ફૂલના ગેટ અપ સાથે બાળકોએ રેમ્પ વોક કર્યું હતું.
કાર્યક્રમમાં મહાનુભાવો શાબ્દિક સ્વાગત બાળ વિકાસ અધિકારીશ્રી પ્રજ્ઞાબેન રાવલ તેમજ આભારવિધિશ્રી ઉર્વિલાબેન દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અનિલ ચાવડા, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેનશ્રીના પ્રતિનિધિ જગાભાઈ ચાવડા, આંગણવાડી કાર્યકરો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઊપસ્થિત રહ્યા હતા.