ડેડીયાપાડા તાલુકામાં ખેતી લાયક જમીનો પર ગેરકાયદે ચાલતા ઈંટના ભઠ્ઠાઓ કોના ઇશારે ???
ફળદ્રુપ જમીન માં પણ ખેતીના બદલે પર્યાવરણ ને હાની પહોંચે તેવા ઠેરઠેર ઈંટોના ભઠ્ઠાઓ પર શું તંત્ર લગામ લગાવશે ખરૂ ???
વાત્સલ્ય સમાચાર
જેસીંગ વસાવા
ડેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે ચાલતાં ઈંટોના ભઠ્ઠાના કારણે ખેતીની જમીનનું નિકંદન નીકળી રહ્યું છે. જો આ પ્રવૃત્તિ પર તંત્ર લગામ કસવામાં ન આવે તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં ખેતીની જમીનમાં ઈંટના ભઠ્ઠા શરૂ થઈ જવાની સંભાવના છે.
ડેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઈંટોના ભઠ્ઠાઓ ધમધમી રહ્યાં છે. આવા ઈંટોના ભઠ્ઠાઓ કોઈ પણ પ્રકાર ના સરકારી પરવાનગી વિના ધમધમી રહ્યાં છે. કેટલાય સમયથી આવા ભઠ્ઠાખેતીની જગ્યામાં શરૂ થઈ રહ્યાં છે. ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા, નિંગટ, ચૂલી, બેસણા, ગોપલિયા, પાટડી, ડેડીયાપાડા સહિત અનેક જગ્યાએ ગામોમાં આ પ્રવૃત્તિ મોટેપાયે ચાલી રહી છે.
આ વિસ્તારના ગરીબ આદિવાસી ખેડૂતોને થોડાક રૂપિયાનું પ્રલોભન આપી તેમનું ખેતર ભાડા પટ્ટા પર ખેતીની જગ્યામાં કેટલાક બહારથી આવેલ ઈસમો આ ઈંટના ભઠ્ઠાનું સંચાલન કરતાં હોવાનું જાણવા મળ્યું છે. ગરીબ આદિવાસી ખેડૂતોના ભોળપણનો લાભ લઈ આવી ખેતીની જમીન પડાવવાની પ્રવૃત્તિ જોરશોરમાં ચાલી રહી છે.
બીજી તરફ ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચલાવતા સંચાલકો મુખ્ય રસ્તા પરથી જમીન પર ઈંટના ભઠ્ઠાઓ ચલાવતા હોવાથી ઈંટના ભઠ્ઠા માંથી ઉડતી રાખ અને ધુળ લોકોના આરોગ્ય અને આંખને નુકસાન પહોંચાડી રહી છે તથા વાહનચાલકોએ આંખમાં ધૂળ અને રાખ જવાથી વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે. આમ ગામના સરપંચ અને સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈને તાલુકાતંત્ર ની મહેરબાનીથી ઠેર ઠેર બેરોકટોક ઈંટના ભઠ્ઠા ચાલી રહ્યા છે. ત્યારે આ બાબતને ગંભીરતા લઇને જિલ્લા કલેકટરશ્રી તપાસના આદેશ આપે તે જરૂરી બન્યું છે.