ABADASAANJARBHACHAUBHUJGANDHIDHAMKUTCHLAKHPATMUNDRANAKHATRANARAPAR
દબાણો હટાવવાની લ્હાયમાં ભાજપનું કચ્છમાં પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું સપનું તો નહીં રોળાઈ જાય ને?
ધાર્મીક સ્થાનો અને ધંધા રોજગારના દબાણો ઉપર ઘોસ બોલાવવામાં આવી રહી છે તે જોતા મતદારોનો એક મોટો વર્ગ ભાજપથી વિમુખ!
Story by – બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ – વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કેટલીક દરગાહો અને ધાર્મીક સ્થળોને દબાણ દૂર કરવાની નોટિસો પાઠવ્યા બાદ એકાએક સરહદી પચ્છમ વિસ્તારના ગામડાઓમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અમુક ચોક્કસ સમુદાયના લોકોને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપોએ સોશીયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર જોર પકડ્યું છે.
૨૦૨૪ની લોકસભા ચુંટણી ટાંકણે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ પ્રકારની કામગીરી રાજકીય ઈશારે થતી હોવાનું નકારી શકાય નહીં. પરંતુ એક સિક્કાની બે બાજુ હોય જ તે રીતે કચ્છમાં ઘટી રહેલી આવી ઘટનાઓથી એક સમુદાયના લોકોમાં સરકાર પ્રત્યે રોષની લાગણી ફેલાઈ રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જેની સીધી અસર લોકસભાની ચુંટણીના મતદાન ઉપર થાય તો નવાઈ નહીં.
મોદી લહેર, અયોધ્યામાં શ્રી રામજીના મંદિરનું નિર્માણ અને બે ટર્મ સાંસદ રહી ચૂકેલા સાલસ સ્વભાવના વિનોદભાઈ ચાવડા પર ત્રીજી વખત પસંદગીનો કળશ ઢોળી ભાજપે આમ તો કચ્છની લોકસભા બેઠક હસ્તગત કરી લીધી છે તેવું કહેવું અતિશયોક્તિ ન ગણી શકાય. પરંતુ હાલ જે રીતે તંત્ર દ્વારા અમુક ચોક્કસ સમુદાયના ધાર્મીક સ્થાનો અને ધંધા રોજગારના દબાણો ઉપર ઘોસ બોલાવવામાં આવી રહી છે તે જોતા મતદારોનો એક મોટો વર્ગ ભાજપથી વિમુખ થાય તેવી શક્યતાઓ તજજ્ઞો સેવી રહ્યા છે. અને તેથી જ કદાચ પાંચ લાખની લીડથી લોકસભા જીતવાનું ભાજપનું તેમજ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનું સપનું, સપનું જ રહી જશે તેવી સંભાવના જાણકારો સેવી રહ્યા છે.
તસ્વીર – સૌ. કચ્છ કલેક્ટર કચેરી