ઝઘડિયાના રાજપારડી નજીક અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત – ભરૂચથી આવતી ટ્રાવેલર ગાડીને અકસ્માત
ગઇકાલે સારસા ગામ નજીક થયેલ અકસ્માત જેવોજ અકસ્માત રાજપારડી ચાર રસ્તા નજીક થયો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઇને જનતા ચિંતિત બની છે. તાલુકામાં ધોરીમાર્ગ ઉપરાંત અન્ય ગ્રામીણ માર્ગો પણ અકસ્માતોથી બાકાત નથી રહ્યા. ગતરોજ રાજપારડી નજીકના સારસા ગામે ઉમધરા ફાટક નજીક એક ઇકો ગાડી આગળ જતી એક ટ્રકના પાછળના ભાગે અથડાતા ત્રણ મહિલાઓ તેમજ ઇકોના ચાલકને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે આવા અકસ્માતનું જાણે પુનરાવર્તન થતું હોય એમ આજરોજ રાજપારડી ચાર રસ્તા નજીક ઝઘડિયા તરફના માર્ગ પર ભરૂચ તરફથી આવતી એક ટ્રાવેલર ગાડી તેની આગળ જતી એક ટ્રકના પાછળના ભાગે અથડાઇ જતા અંદાજે આઠથી દસ જેટલી વ્યક્તિઓને ઓછીવત્તી ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ આ ટ્રાવેલર ગાડી ચાર રસ્તાથી થોડે આગળથી ચાર રસ્તા તરફ આવી રહી હતી,ત્યારે રોડ નજીક આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્સ તરફથી કોઇ વાહન ડિવાઇડરના કટમાંથી રોડની એક તરફથી બીજી તરફ આવી રહ્યું હતું તેને લઇને ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી આ ટ્રાવેલર ગાડી ટ્રકના પાછળના ભાગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ટ્રાવેલર ગાડીમાં બેઠેલી વ્યક્તિઓને વત્તીઓછી ઇજા થઇ હતી,અને કોઇ જાનહાની થઇ નહતી. ઉલ્લેખનીય છેકે આ સ્થળે મોટા વાહનો રોડની નજીક લાઇનબંધ ઉભા રહેતા હોઇ પસાર થતાં અન્ય વાહનો હાલાકિમાં મુકાય છે.ઉપરાંત આ સ્થળે આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ નજીકથી રોડની એક સાઇડ તરફથી બીજી સાઇડે જતા વાહનો ડિવાઇડરના કટમાં થઇને આવે છે,ત્યારે કેટલીકવાર આવી દુર્ઘટનાઓ થતી હોવાનું સામે આવ્યું છે. તેથી આ સ્થળે રોડને અડીને લાઇનબંધ ઉભા રહેતા વાહનો બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
ઈરફાન ખત્રી
રાજપારડી