ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું, રાજપૂત-ક્ષત્રિયોના તમામ સંગઠનો જોડાયા
લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રૂપાલા દ્વારા માફી માગવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરી રહ્યા નથી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. સૌરાષ્ટ્ર સહિત અનેક શહેરો અને ગામડાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા મામલે ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’ યોજાયું હતું. ધંધુકાના ચુડાસમા બોર્ડિંગ દ્વારા સ્વસ્તિક સોસાયટીમાં આ મહાસંમેલનનું આયોજન કરાયું હતું.
રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ કહ્યું કે, ‘પરશોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પચાસ હજારથી વધુ લોકો આવ્યા છે. સરકારને અમારો સંદેશો છે કે આનાથી વધારે રોષ ભભૂકશે. આ સ્વયંભુ રોષ છે, વિરોધ પ્રદર્શનની આગળ પાછળ કોઈ નથી. આતો ખાલી ધંધુકા તાલુકાનું સંમેલન છે, આગામી સમયમાં જિલ્લા અને તાલુકા સુધી સંમેલનો કરાશે. ત્યારબાદ રાજકોટમાં મહાસંમેલન યોજાશે. ગામે ગામ ભાજપના આગેવાના સભા કે પ્રવેશ નહીં કરી શકે. સરકારને અમારી નમ્ર વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. 15 દિવસથી લડાઈ કરી રહ્યા છે.’
સરકાર સાથે બેઠક અંગે પી.ટી. જાડેજાએ કહ્યું કે, ‘રૂપાલાની ટિપ્પણી માફ કરાય એમ નથી. તે માટે અમને ક્યારેય ન બોલાવતા. આજે જે બેઠક થઈ તેની જાણ છે પણ બેઠકમાં શું વાત થઈ તેની માહિતી મારી પાસે નથી. અમને જે ક્ષત્રિય નેતાઓ મળવા આવ્યા હતા તે નવ મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે.’
ધંધુકામાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં યોજાયેલા આ મહાસંમેલનમાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાયા છે. જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા છે. રમજુબા જાડેજા, રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી જાડેજા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ પણ ઉપસ્થિત રહ્યા છે.
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પણ ઉપસ્થિત રહ્યા છે. લિંબડી, અમદાવાદ, રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, સાણંદ સહિત આસપાસના ગામમાંથી પણ લોકો પહોંચ્યા છે.