Rajkot : અધિકારીઓએ જવાબદાર પોલીસકર્મીની જલ્દીથી ધરપકડની ખાતરી આપી, પરિવારજનોએ યુવાનનો સ્વીકાર્યો મૃતદેહ
રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ મામલે શહેર પોલીસ દ્વારા આઇપીસી 302 અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે આ મામલે મૃતકનાં પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો મૃતદેહ લઈને સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ધરણા પર બેઠાં હતા.
દલિત સમાજના લોકો મોટી સંખ્યામા હોસ્પિટલ ચોક ખાતે ઉમટી પડ્યા હતા.જેને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો, દલિત સમાજ અને પરિવારજનોએ જવાબદાર પોલીસ કર્મીઓને પકડવાની માંગ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં એએસઆઈ અશ્વિન કાનગડ દ્વારા પોલીસ સ્ટેશનમાં મૃતકને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યાં સુધી આ મામલે સ્પષ્ટ તપાસ નહીં થાય અને જવાબદાર પોલીસકર્મી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ આ સ્થળ પર રાખવાની જાહેરાત કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઝોન2ના ડીસીપી સુધીરકુમાર દેસાઈ અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. ઉચ્ચ અધિકારીઓએ તટસ્થ તપાસની અને જવાબદાર પોલીસકર્મીની જલ્દીથીજલ્દી ધરપકડની ખાતરી આપી હતી. પરિવારના સભ્યોએ અંદાજીત રાત્રે 9.30 કલાકની આસપાસ યુવાનનો મૃતદેહ સ્વીકારી લીધો હતો.