Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મતદાર જાગૃતિ મંચની બેઠક યોજાઈ, વધુમાં વધુ મતદાન કરવાના પ્રયાસો કરવા સૂચના અપાઈ
તા.૧૭/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારોના મતદાર જાગૃતિ મંચ (વોટર અવેરનેસ ફોરમ)ની મીટીંગ ગતરોજ યોજવામાં આવી હતી. જેમાં TIP નોડલ અધિકારી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, લેબર ઓફિસર સુશ્રી નિશા કાનાણી, તમામ વોર્ડ ઓફિસર, સરકારી અને ખાનગી સંસ્થા/સંગઠનોના પ્રતિનિધિઓ તથા ૬૮-રાજકોટ પૂર્વ, ૬૯-રાજકોટ પશ્ચિમ, ૭૦-રાજકોટ દક્ષિણ અને ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારોના મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આ બેઠકમાં ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું. નોડલ અધિકારી- TIP દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે લેબર ઓફિસર દ્વારા કંપની એક્ટ મુજબ મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા તેમજ તમામ લેબર દ્વારા મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે આગામી દિવસોમાં તમામ સરકારી તથા બિનસરકારી સંગઠનોમાં વોટર અવેરનેસ ફોરમની રચના કરી ૧૦૦% મતદાન થાય તેવી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.