પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને પ્લાસ્ટિક પેદાશોના સપ્લાયર્સ સાથે બેઠક યોજાઈ
આગામી સમયમાં પ્લાસ્ટિકની પેદાશો સામે સપ્લાયર સુધી થશે કાર્યવાહી
જૂનાગઢ,તા.૧૯ ગિરનાર ઈકોસેન્સેટિવ ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને ડામી દેવા માટે વહિવટી તંત્ર દ્વારા આગામી સમયમાં લેવામાં આવનાર છે. ઈકોસેન્સેટિવ ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ધરાવતી પેદાશોનું વેચાણ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાની સૂચનાથી આવી પેદાશોના મેન્યુફેક્ચર્સ અને સપ્લાયર્સ સાથે પ્રાંત અધિકારી શ્રી ચરણસીંહ ગોહિલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પોલીમર્સની બનાવટોનું ઉત્પાદન કરતા વેપારી, થેલીઓ બનાવતા વેપારી, હોલસેલ સપ્લાયર્સ, અગ્રણી નમકીન કંપનીઓના પ્રતિનિધિઓ, પ્લાસ્ટિક બોટલના ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
ઈકોસેન્સેટિવ ઝોનમાં પ્રતિબંધિત પેદાશો સપ્લાય ન કરવા માટે પ્લાસ્ટિક પેદાશોના સપ્લાયર્સને વહિવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવેલ હતી. તમામ ઉત્પાદકો અને સપ્લાયર્સ પણ આ બાબતે સહમત થયા હતા.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી દ્વારા આગામી સમયમાં સપ્લાય ચેઈન પર કડક કાર્યવાહી કરવા અંગે નિર્દેશો અપાયા હતા. બેઠકમાં મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, કોર્પોરેશન અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.