હાલોલ:યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે જઈ રહેલ સંઘના એક માઇ ભક્તને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૪.૨૦૨૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓનો સંઘ હાલોલના ઔદ્યોગિક વિસ્તારમાંથી પસાર થતો હતો તે દરમિયાન એક અજાણ્યા વાહને પદયાત્રી પૈકી એક માઇ ભક્તને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલ પદયાત્રીનું મોત નીપજયુ હતું.હર્ષ ઉલ્લાસ તેમજ ભક્તિમય વાતાવરણ સાથે માતાજીના દર્શનાર્થે જઈ રહેલો પગપાળા સંઘ અકસ્માતમાં પદયાત્રીના મોતને પગલે સંઘમાં ગમગીની છવાઈ ગઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના વેરાખાડી ખાતેથી યાત્રાધામ પાવાગઢ ખાતે હાલમાં ચાલી રહેલા ચૈત્રી માસને લઈને માતાજીના ભક્તો સંઘ સાથે શુક્રવારના રોજ વહેલી સવારે પગપાળા વેરાખાડીથી પાવાગઢ જવા નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના દસ વાગ્યાની આસપાસ ભગવાનભાઈ અર્જુનભાઈ પરમાર ઉ.વ.૩૫, નાઓ હાલોલ ઔદ્યોગિક વિસ્તાર એવા ચંદ્રપુરા રોડ ખાતેથી પદયાત્રીઓ પસાર થઈ રહ્યા જ્યારે અન્ય પદયાત્રીઓ ઘણા આગળ ઘણા પાછળ પદયાત્રા કરી રહ્યાહતા.ત્યારે એક અજાણ્યા વાહને પદયાત્રીઓ પૈકી ભગવાનભાઈ પરમારને ટક્કર મારતા તેઓ રોડ પર ફગોળાઇ જઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.બનાવને પગલે રાહદારીઓ દ્વારા તાત્કાલિક ભગવાનભાઈને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.આ અકસ્માત અંગે અકસ્માતનો ભોગ બનનાર ભગવાન ભાઈના ભત્રીજા વિપુલભાઈ પરમારને ટેલિફોન દ્વારા જાણ થતા તેઓ વેરાખાડી થી તેઓના સગા સંબંધીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે ભગવાનભાઈ ને હાલોલ નગરપાલિકાની ગાડી દ્વારા તેઓને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. તેવી જાણ થતા તેઓ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.જ્યારે સગા સંબંધી હોસ્પિટલ ખાતે આવ્યા ત્યારે ઇજાગ્રસ્તનું મોત થયેલ હોવાનું તેઓને જાણવા મળેલ હતું. જ્યારે સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર મૃતકના ભત્રીજા દ્વારા અકસ્માત અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન સામે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.