Rajkot: ”ટ્રાફીક સલામતી માસ” અન્વયે માધાપર ચોકડી ખાતે આશરે ૪૦ વાહનોની યાંત્રિક તપાસણી કરાઈ

તા.૨૦/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં માધાપર ચોકડી ખાતે તા. ૨૦ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨ કલાકથી બપોરે ૧ કલાક સુધી ‘‘ટ્રાફીક સલામતી માસ – ૨૦૨૫’’ની ઉજવણીના ભાગરૂપે હેવી વ્હીકલ, લાઈટ મોટર વ્હીકલ, ઓટોરીક્ષા તથા મોટર સાઇકલ મળીને આશરે ૪૦ જેટલાં વાહનોની યાંત્રિક તપાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી વાહનના સલામત અને યોગ્ય ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે.
આ તકે પી.એસ.આઇ.શ્રી એસ. બી. ઘાસુરા તેમજ આર.ટી.ઓ.ના શ્રી ઓમકારસિંહ ઝાલા તથા શ્રી વી. બી. પટેલ દ્વારા વાહનના બાહ્ય ભાગો જેવા કે હેડલાઇટ, ટેઇલલાઇટ, ટર્ન સિગ્નલ અને બ્રેક લાઇટની કાર્યક્ષમતા તપાસવામાં આવી હતી. રિયર-વ્યુ મિરર, સાઇડ મિરર્સ, ટાયરની કંડિશન, ટાયરનું ટ્રીડ, એર પ્રેશર, વાહનનું એન્જિન, મશીનરી, કૂલન્ટ સિસ્ટમ, બેટરીનું કનેક્શન, ફુટ બ્રેક-હેન્ડ બ્રેકની કાર્યક્ષમતા, ફ્યુઅલ સિસ્ટમ, સસ્પેન્શન, સ્ટિયરિંગ ચકાસણી, હોર્ન નિરીક્ષણ વગેરે કરવામાં આવ્યું હતું. એ.સી.-હીટરની તાપમાન નિયંત્રણ સિસ્ટમ, સલામતી ઉપકરણો, ફાયર એક્સટિંગ્યુશર તથા વાહનચાલકે નડતી સમસ્યાઓને પ્રાથમિકતા સાથે તપાસવામાં આવી હતી. તેમજ માર્ગ સલામતીના નિયમો, વાહન જાળવણી અને ટેકનિકલ માહિતી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.






