કોઇ વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થી સાથે ચર્ચા ન કરવા શાળાઓને DEO દ્વારા આદેશ
સુરતનાં ગોડાદરામાં ફી મુદ્દે સ્કૂલ દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું. જે બાબતે લાગી આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. ભાવના ખટકે નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. ત્યારે આ ઘટનાને લઇ અમદાવાદ DEOએ તમામ શાળાઓમાં આદેશ જાહેર કર્યો હતો. જેમાં ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ કરવામાં આવ્યો છે.
આ આદેશમાં ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે કોઇ જાતની ચર્ચા ન કરવા સૂચના અપાઇ છે. જેમાં કોઇ વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થી સાથે ચર્ચા ન કરવા શાળાઓને જણાવવામાં આવ્યું છે. ફીના આદેશ અંગે DEO રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ફી બાકી હોય તો અન્ય વિદ્યાર્થીઓ સામે ફીની માંગણી કરવી યોગ્ય નથી. વિદ્યાર્થીઓ પાસે નહીં વાલીઓ પાસે ઉઘરાણી કરવી જોઇએ. ફી બાકી હોય તો પરીક્ષામાં બેસવા ન દેવા તે પણ ગેરકાયદેસર છે. ત્યારે જે શાળા ફી બાબતે વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો તેની સામે કાર્યવાહી થશે તેવું તેઓએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીનીના આપઘાત અંગે DEOની ટીમે તપાસ શરુ કરી છે. જેમાં DEO કચેરીના અધિકારી નરેન્દ્ર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે. તપાસ ટીમે cctvની ચકાસણી કરી છે. સમગ્ર મામલે રિપોર્ટ DEOને સુપરત કરવામાં આવશે અને આપઘાત અંગે પુરાવાઓ એકત્રિત કર્યાનો દાવો તેઓએ કર્યો હતો.




