ભરૂચમાં જિલ્લા ફરિયાદ નિવારણ બેઠક:કલેકટરની અધ્યક્ષતામાં રસ્તા, આવાસ, શિક્ષણ સહિત વિવિધ પ્રશ્નોની રજૂઆત

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં 19મી જુલાઈએ જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ. જિલ્લા આયોજન ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.
બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક રસ્તાઓ, આવાસ, વીજળી અને શિક્ષણને લગતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. આરોગ્ય, જમીન માપણી, લેન્ડલૂઝર, વરસાદી પાણી ભરાવા અને સિંચાઈના મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા. જનપ્રતિનિધિઓએ સરકારી દબાણ હટાવવા માટે ઝીરો ટોલરન્સથી કામગીરી કરવાનો અનુરોધ કર્યો.
કલેકટર મકવાણાએ નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા સૂચના આપી. માર્ગ અને મકાન વિભાગને મરામતના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા અને ડી.કે.સ્વામી હાજર રહ્યા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ વડા અજય મિણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલે કર્યું.




