
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠમાં આવેલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના મોહદ્દીસે આઝમ મિશન દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરીને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
મોહદ્દીસે આઝમ મિશન દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ પહેલ પાછળનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત થાય અને ભણતરથી વંચિત ન રહી જાય. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો તરીકે જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી તેઓ ઉત્સાહપૂર્વક આગળ વધી શકે.
આ કાર્યક્રમમાં મિશનના પ્રમુખ ડોક્ટર મુસ્તાક,જુમ્મા મસ્જિદના પેશ ઈમામ અને અન્ય મહેમાનો તથા મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ઇનામ મેળવીને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતા આયોજકોએ જણાવ્યું કે, “આવા કાર્યક્રમોથી બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે છે. અમે આશા રાખીએ છીએ કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ સારા ગુણ મેળવીને સમાજનું નામ રોશન કરશે.”





