GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રાકૃતિક કૃષિના કલ્પવૃક્ષ સમાન લીમડો ‘ગ્રામ્યજીવનની ફાર્મસી’ એવો લીમડો જમીન સુધારક તરીકે ઉપયોગી

તા.૨૦/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સંકલન : માર્ગી મહેતા

Rajkot: આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ, પાકરક્ષક દવાઓ તથા ખાતરો આપનારો કડવો લીમડો પર્યાવરણનો ઉત્તમ રક્ષક છે. તેથી, લીમડો ‘સો દુઃખોની એક દવા’, ‘નીમ હકીમ’ તથા ‘ગ્રામ્યજીવનની ફાર્મસી’ તરીકે ઓળખાય છે.

લીમડાના તેલમાં એઝાડીરેકટીન, નીમ્બીન, નીમ્બીડીન, સેલેનોન, મેલોઓન્ટ્રોઓલ જેવા ૧૦૦થી પણ વધુ સક્રિય ઘટકો હોય છે, જે મોલોમસી, સફેદ માખી, થ્રીપ્સ, મીલીબગ, વિવિધ ઈયળો જેવી ૨૦૦ કરતાં વધારે નુકસાનકારક જીવાતો સામે રક્ષણ આપે છે. લીમડાના ઝાડની છાલ, બીજ, બીજની છાલ અને પાંદડા એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, એન્ટિપ્રાયરેટિક્સ, બળતરા વિરોધી અને એન્ટિફંગલ સાબિત થયા છે.

લીમડાના દાણા (લીંબોળી)માંથી તેલ કાઢ્યા પછી જે વધે છે, તેને લીમડાની કેક અથવા લીંબોળીનો ખોળ કહેવાય છે, જે પ્રાકૃતિક ખેત પદ્ધતિમાં જમીન સુધારક તરીકે ઉપયોગી બને છે. તે સંપૂર્ણપણે કુદરતી હોવાને કારણે જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુઓ અને રાઈઝોસ્ફિચર માઈક્રોફ્લોરા સાથે સુસંગત છે. તેથી, તે જમીનની ફળદ્રુપતા સુનિશ્ચિત કરે છે.

આ ઉપરાંત, લીમડાની કેક જમીનમાં કાર્બનિક દ્રવ્યોની ગુણવત્તાને સુધારે છે, જે જમીનની રચના, જમીનની પાણીને પકડી રાખવાની ક્ષમતામાં વધારો કરે છે. તે મૂળના વધુ સારા વિકાસ માટે જમીનના વાયુમિશ્રણને સુધારવામાં મદદરૂપ થવાથી જમીનની ફળદ્રુપતા પણ સુધારે છે. જમીનની સુધારણા સાથે અળસિયા જેવા ફાયદાકારક જીવોમાં પણ વધારો થશે. આ કેકનો ઉપયોગ જમીનમાં આલ્કલાઈન સામગ્રીને ઘટાડે છે. કારણ કે, જ્યારે તે વિઘટિત થાય છે, ત્યારે કાર્બનિક એસિડ ઉત્પન્ન કરે છે, જે જમીનમાં ક્ષારત્વ ઘટાડે છે અને નાઈટ્રિફિકેશનને અટકાવીને નાઈટ્રોજનની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરેલી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે પ્રાકૃતિક ખેત પદ્ધતિમાં વિવિધ ઘટકોથી ભરપૂર લીમડો મહત્વપૂર્ણ પરિબળ બની રહે છે

Back to top button
error: Content is protected !!