NATIONAL

મેં કોઈને 75 વર્ષે નિવૃત્ત થવાનું કહ્યું જ નથી : મોહન ભાગવત

નવી દિલ્હી : કોઈ પણ વ્યક્તિએ ૭૫ વર્ષે નિવૃત્ત થઈ જવું જોઈએ તેવું મેં ક્યારેય કહ્યું નથી. ૭૫ વર્ષ પછી પણ હું નિવૃત્ત નથી થવાનો અને કોઈને નિવૃત્ત થવાનું કહેવાનો નથી તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે જણાવ્યું હતું. આ સાથે સંઘ પ્રમુખ મોહન ભાગવતે ૭૫ વર્ષે તેઓ કે પીએમ મોદી નિવૃત્ત થશે કે કેમ તે વિવાદ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ભાજપમાં ૭૦ કે ૭૫ વર્ષે વરિષ્ઠ નેતાઓને માર્ગદર્શક મંડળમાં મૂકવાની તાજેતરની પરંપરાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૭૫ વર્ષે નિવૃત્ત થશે કે કેમ તેની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. જોકે, તેમણે ક્યારે પીએમ નરેન્દ્ર મોદીને ૭૫ વર્ષે નિવૃત્ત થવાનું કહ્યું નથી તેમ કહીને સંઘ પ્રમુખ મોહન ભાગવતે આ અટકળોને હવે અટકાવી દીધી છે.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય એવું કહ્યું નથી કે કોઈ વ્યક્તિએ ૭૫ વર્ષે નિવૃત્ત થઈ જવું જોઈએ. હું નિવૃત્ત નથી થવાનો અને અન્ય કોઈને પણ નિવૃત્ત થવાનું કહેવાનો નથી. જ્યાં સુધી કોઈ કામ કરી શકે તેમણે કરવું જોઈએ. સંઘમાં અમને કામ આપવામાં આવે છે. ૮૦ વર્ષના સ્વયંસેવકને પણ શાખા ચલાવવાનું કહેવામાં આવે તો તે ચલાવે છે. થોડા સમય પહેલાં એક કાર્યક્રમમાં મેં માત્ર સંઘના નેતા મોરોપંત પિંગળેના જીવનનો એક પ્રસંગ ટાંક્યો હતો. કોઈને નિવૃત્ત થવાનું કહ્યું નહોતું.

Back to top button
error: Content is protected !!