મને BJPના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ.’ : BJP મહિલા નેતા
રાજકોટમાં ભાજપમાં વિવાદ શરૂ થયો છે. ત્યારે પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઈ ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને ભાજપના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ.’
મળતી માહિતી અનુસાર, રાજકોટ શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી વાહન લઈ અંબાજી સહિતના સ્થળોએ જાત્રા કરી આવ્યા હોવાનો વિવાદ સામે આવ્યો હતો. ત્યારબાદ તેના ડ્રાઈવરને છુટા કરી દેવાયા હતા. આ દરમિયાન લીલુબેન જાદવ મીડિયા સમક્ષ ભાવુક થયા હતા અને કહ્યું હતું કે, ‘મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મને થઈ રહેલા અન્યાય મુદ્દે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે. હાલ હું કંઈ વધુ નહીં કહું બે દિવસમાં મારી તૈયારી કરીને વધુ વાત કરીશ.’
મનપા શાસક પક્ષ નેતા લીલુબેન જાદવના પક્ષના જ નેતાઓ સામેના આક્ષેપને લઈને રાજકોટ મનપાના મેયર નયનાબેન પઢિયારે જણાવ્યું હતું કે, મેં કોઈના ડ્રાઇવર ફાળવણી મારો કોઈ રોલ નથી. ફાયર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. લીલુબેન જાદવ મારી પાસે કોઈ રજુઆત કરી નથી. મારા વિરૂદ્ધ પણ ભૂતકાળ ષડયંત્ર થતું હતું. હું થોડા સમય પહેલા પ્રયાગરાજ ગઇ હતી ત્યારે કમિશનરની મંજૂરી લઈ ગઈ હતી. વિવાદમાં મારે કઈ પડવું નથી જે કરે એ ભરે. હું તો મારું કામ સમયસર કરતી જ હોવું છું. જે પણ વેદના હોય તે મને અને પાર્ટીને કહેવી જોઈએ.’
લીલુબેન જાદવના પ્રશ્ને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે,’ ભાજપ પક્ષ માં કોઈને ટાર્ગેટ કરવામાં આવતા નથી. આ એક કેડરબધ્ધ અને શિસ્ત બધ્ધ પાર્ટી છે. દરેકને એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે. લીલુબેનના જે કંઈ પણ પ્રશ્નો અને નાની મોટી ગેરસમજણ હતી તે દૂર થઈ ગઈ છે. મારા પરિવારમાં ત્રીજી પેઢી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે. લીલુબેનના જુના પ્રશ્નો દૂર થઈ ગયા હતા પરંતુ હવે તે કયા કારણોથી ભાવુક થઈ ગયા? તે મને ખ્યાલ નથી પરંતુ આ બાબતે હું તેમની સાથે વાત કરીશ.’