Gondal: ગોંડલમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિર તથા નગરસ્વચ્છતાની કામગીરીની સમીક્ષા કરતાં અધિક કલેકટર શ્રી ઇલાબેન ચૌહાણ
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તમામ સફાઈ કર્મચારીઓની નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી કરાઈ-મેદસ્વિતા મુક્તિ માટે સફાઈ કર્મચારીઓને માર્ગદર્શન અપાયું
Rajkot, Gondal: સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોનના અધિક કલેકટર સુશ્રી ઇલાબેન ચૌહાણે ગોંડલ નગરપાલિકા કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત યોજાયેલી સફાઈમિત્ર સુરક્ષા શિબિરમાં તમામ સફાઈ કર્મચારીઓની નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. “એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન” કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.
સફાઈમિત્ર સુરક્ષા શિબિરના લાભાર્થીઓને મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ભારતીય પરંપરાગત ધાન્યો જેવા કે જુવાર, બાજરી, કોદરી, કાંગ વગેરેનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ વધારવા માટે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. અધિક કલેકટર સુશ્રી ઇલાબેન ચૌહાણે નગરપાલિકા કચેરીના નવા બિલ્ડીંગ અને શહેર સ્વચ્છતાની કામગીરીની ચકાસણી કરી હતી.
આ તકે ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિનકુમાર વ્યાસ, સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સોંદરવા, સિટી મેનેજર શ્રી યશ વઘાસીયા, સેનેટરી ઈન્સ્પેક્ટરશ્રી કેતનભાઈ મકવાણા સહિત સફાઇ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.