Rajkot: શ્રી જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનાં સભ્યોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા
તા.૨૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પશુપાલન વ્યવસાય થકી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની: પશુપાલક વીજુબેન
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સહકારી ક્ષેત્રે થયેલા વિકાસથી ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બની રહ્યા છે.
સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ રાજકોટ જિલ્લાની સહકારી મંડળીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા.
આ તકે શ્રી રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આયોજિત, શ્રી જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાથે જોડાયેલ પશુપાલકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા.
“પશુપાલન સાથે જોડાયેલ પરિવારો ખાસ કરીને મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થયું છે, દૂધની પુરતી કિંમત મળતા ગામડાની બહેનો પશુપાલન ક્ષેત્રે વધુ સક્રિય બની છે. જેનો શ્રેય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને જાય છે.” રાજકોટના જીયાણા ગામમાં રહેતા પશુપાલન સાથે સંકળાયેલા વીજુબેન મકવાણાના આ શબ્દો છે. વીજુબેન પાસે ૧ ભેંસ અને બે ગાય છે, જેમાંથી દરરોજ ૨૦ લિટર જેટલું દૂધ મળી રહે છે. દૂધ વેચવા જવા માટે વીજુબહેનને કોઈ મુશ્કેલી પડતી નથી, કારણ કે ગામમાં આવેલી દૂધ મંડળી પુરતા ભાવ આપીને દૂધ ખરીદે છે.
અન્ય એક પશુપાલક જગદીશભાઈ ગાંગાણીએ પણ હરખભેર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખ્યું હતું. જગદીશભાઈએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રે દેશ સમૃદ્ધ થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં કાર્યરત યોજનાઓથી પશુપાલકો અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બની રહ્યા છે, જેથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે.
શ્રી જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી શ્રી પ્રેમજીભાઈ વેકરીયાએ કહ્યું હતુ કે, ૧૯૯૯થી નોંધાયેલ મંડળીમાં શરૂઆતમાં ફક્ત ૩૫ લિટર જેટલું દૂધ આવતું હતુ. પરંતુ હાલ દરરોજ ૧૫૦૦ થી ૧૭૦૦ લીટર દૂધ આવે છે. આ દૂધ રાજકોટની ગોપાલ ડેરીમાં જાય છે. મંડળીમાં ૨૫૦ જેટલા સભ્યો નોંધાયેલા છે. પશુપાલકોને ૧૦ લાખનો વીમો પણ આપવામાં આવે છે.
આ તકે પશુપાલકોએ સહકારી ક્ષેત્રને મજબૂત માળખું બનાવવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા.