
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત જનજાતિય ગૌરવ રથના સ્વાગત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે…
*વઘઇ ખાતે જનજાતિય ગૌરવ રથ પધારશે: સેવાસેતુ કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ સહિત વિવિધ સરકારી સેવાનો લાભ લેવા ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી..
દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવરથ પહોંચનાર છે.
જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાંથી આજે તા: ૦૯/૧૧/૨૦૨૫ના રવિવારના રોજ વઘઇ ખાતે જનજાતિય ગૌરવ રથ પધરાશે, જ્યા મુખ્ય કાર્યક્રમ યોજાશે તેમજ બાદમાં ઝાવડા ખાતે પણ રથનું સ્વાગત કરવામાં આવશે. જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગ રૂપે ડાંગ જિલ્લા તંત્ર દ્વારા વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વઘઇ ખાતે યોજાનાર જનજાતિય ગૌરવ રથ યાત્રાના સ્વાગત અને સભાના કાર્યક્રમમાં આદિજાતી વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી શ્રી નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે. તેમજ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયનના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગાવિતની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, પ્રાયોજના વહીવટદાર આંનદ પાટીલ સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહેશે.
ડાંગ જિલ્લામાં યોજાનાર જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણીના કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકો જોડાવા અને કાર્યક્રમ દરમિયાન યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ જેવી વિવિધ સેવાનો લાભ લેવા માટે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.





