Rajkot: રાજકોટમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ ઉત્સવની ઉજવણી કરાઇ

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
રૂ. ૯૭૨ લાખના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થયાં: આદિવાસી રમતવીરોનું સન્માન, લાભાર્થીઓને સરકારી સહાય વિતરણ કરાઈ
ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી જન સમુદાયને પ્રેરણા મળે છે: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ જિલ્લામાં રૂ. ૯૭૨ લાખના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર જન સમુદાયને પ્રેરણા મળે છે. તેમના જીવન ઉદ્દેશ્યોને નવી પેઢીએ જાણીને જીવનમાં ઉતારવા જોઈએ.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના લોકપાલ અને કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. સંજીવ ઓઝાએ ભગવાન બિરસા મુંડાના જીવન પ્રસંગોની વિગતો સાથે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા માત્ર અન્યાય સામે લડનારા લડવૈયા જ નહીં, પણ સમાજ સુધારક હતા. બિરસા મુંડાએ બચપણમાં જ સ્વધર્મ, સ્વરાજ અને સનાતન સંસ્કૃતિ સાથે કોઈ સમાધાન નહીં કરવાની આપેલી શીખને જીવનમાં ઉતારવી જોઈએ.
જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમપ્રકાશે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે આભારવિધિ કરી હતી.
આ કાર્યકમમાં રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા આદિવાસી રમતવીરોનું સન્માન તેમજ આદિવાસી યુવતીઓ અને છાત્રાઓને સરકારની યોજનાકીય સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યો સર્વ શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા શ્રી મનીષભાઈ રાડીયા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, અગ્રણી શ્રી માધવ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.













