Rajkot: ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ અંતર્ગત સૈનિકોના પરિવારજનોને દાન આપનાર સંસ્થાઓનું સન્માન કરાયું

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: પ્રતિ વર્ષ ૭ મી ડિસેમ્બર ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ સૈનિકોના બલિદાનને યાદ કરી તેઓના પરિવારજનોના સહારો આપવા અનુદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગત વર્ષે કલેકટરશ્રી દ્વારા ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ નિમિત્તે શાળા, કોલેજ સહીત શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને જાહેર જનતાને ઉદાર હાથે સૈનિક વેલ્ફેર ફંડ આપવા વિનંતી કરવામાં આવી હતી.
સૈનિક કલ્યાણ અને પુનર્વસન વિભાગના કમાન્ડર પવનકુમારે આજરોજ કલેકટર કચેરી ખાતે મળેલ ફાળા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રૂ. ૨૫ લાખના ફાળા એકત્રીકરણ લક્ષ્યાંક સામે રૂ. ૩૭ લાખનો ફાળો મળ્યો છે. જે બદલ તેમણે સૈનિક કલ્યાણ માટે ફાળો આપનાર તમામ સંસ્થા અને નાગરિકોનો આભાર માન્યો હતો.
કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા, સાંસદશ્રી રામભાઈ મોકરિયા, પોલીસ અધિક્ષકશ્રી વિજયસિંહ ગુર્જરના હસ્તે સર્વાધિક દાન આપનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં પતંજલિ સ્કૂલ, સરોજિની નાયડુ સ્કૂલ, મોદી સ્કૂલ, કણસાગરા કોલેજ, ડેલ્ટા સ્કૂલ, મારવાડી યુનિવર્સીટી, રાજકોટ એ.પી.એમ.સી., જેતપુર પોલીસ મથક, ઘંટેશ્વર એસ.આર.પી. ગ્રુપ, આર.ટી.ઓ., કાર્યપાલક ઈજનેર કચેરી, પી.જી.વી.સી.એલ., સર્વોદય કેળવણી સમાજ સહિતની સંસ્થાઓએ મોટી સંખ્યામાં દાન આપી પ્રેરણા પૂરી પાડી છે.
કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશે આ તકે ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ લોકોને આ વર્ષે પણ ઉદાર હાથે અનુદાન આપીને સૈનિકોના પરિવારજનોને મદદરૂપ બનવા અપીલ કરી હતી.






