MORBI:મોરબીમાં ‘સુશાસન સપ્તહ’ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ વર્કશોપ યોજાયો

MORBI:મોરબીમાં ‘સુશાસન સપ્તહ’ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ વર્કશોપ યોજાયો
વહીવટી તંત્રના અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ કેળવી લોક કલ્યાણને પ્રાધાન્ય આપવા જણાવાયું
મોરબી કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર તથા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તહ’ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓને પ્રજા લક્ષી અભિગમ કેળવી લોકકલ્યાણની કામગીરીને પ્રાથમિકતા આપવા જણાવવામાં આવ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરશ્રી તથા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વહીવટી તંત્રને નિયમિત કામગીરીમાં સાચા અર્થમાં જાહેર સેવક બની સુશાસનને કામગીરીનો ભાગ બનાવવા, ટીમ વર્ક થકી લોક કલ્યાણની ભાવના સાથે ગ્રામ્ય વિસ્તારોના ગરીબો, વંચિતો અને જરૂરિયાત મંદને મુખ્ય પ્રવાહમાં લાવવા શક્ય તમામ પ્રયાસ કરવા અને તેમના ઉત્થાન માટે યોજનાઓની સાચી અમલવારી થાય તે પ્રકારનું માળખું ગોઠવવા જણાવ્યું હતું.
આ વર્કશોપમાં શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત, જિલ્લા ખેતીવાડી કચેરી, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય વિભાગે તેમના દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી તથા યોજનાઓની અમલવારી વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માહિતી આપી હતી.
આ વર્કશોપમાં ડેપ્યુટી કલેકટરશ્રી ઉમંગ પટેલ, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જૈમિન કાકડીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લા આયોજન અધિકારીશ્રી વી.બી. માંડલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે.શ્રીવાસ્તવ સહિતના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








