ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આરોપી કુલદીપ સેંગરને હાઇકોર્ટે આપેલ જામીન પર સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે

ઉત્તર પ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાલમાં આગામી સુનાવણી સુધી હાઇકોર્ટના ચુકાદાને સ્ટે આપી દીધો છે અને કુલદીપ સિંહ સેંગર હવે જેલમાં જ રહેશે. ચાર અઠવાડિયા બાદ હવે સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના જજોએ કુલદીપ સિંહ સેંગર તરફથી હાજર વકીલોને ફિટકાર લગાવતા કહ્યું હતું કે તમે આડી અવળી વાતો કરવાની જગ્યાએ સ્ટે પર વાત કરો. અમે જામીન પર સ્ટે આપવા તૈયાર છે. તમે જો હાઇકોર્ટના જામીનને ચાલુ રાખવા માગતા હોવ તો અમને એનું કારણ જણાવો.
સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં સીબીઆઈના વકીલે આ કેસને ભયાનક ગણાવ્યો હતો. સીબીઆઈ તરફથી તુષાર મહેતા દલીલ કરવા કોર્ટમાં હાજર થયા હતા. તેમણે દલીલ કરી હતી કે જ્યારે પીડિતા પર આ ભયાનક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે તેની ઉંમર 15 વર્ષ જ હતી એટલે કે આ પોક્સોનો કેસ બને છે. આ એક ગંભીર અપરાધ છે અને તે સાબિત પણ થયો છે છતાં હાઈકોર્ટે આ મામલે ગંભીરતા ન દાખવતા સેંગરને જામીન પર છોડી મૂક્યો હતો.
દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સિંહ સેંગરને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો અને ડિસેમ્બર 2019માં તેને આજીવન કેદની સજા ફટકારી. આ ઉપરાંત, પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં પણ તેને 10 વર્ષની સજા કરવામાં આવી હતી. આ ચુકાદાને પીડિતાના લાંબા અને પીડાદાયક સંઘર્ષના અંતે મળેલા ન્યાય તરીકે જોવામાં આવ્યો. જોકે, ડિસેમ્બર 2025માં દિલ્હી હાઈકોર્ટે સેંગરને શરતી જામીન આપ્યા હતા, જેનો કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ વિરોધ કર્યો હતો.




