આઇટીઆઇ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો

10 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી અને આઇટીઆઇ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આઇટીઆઇ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૧ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ – ટાટા, ડ્યુક પંપિંગ, રોકી મીંડા, જે.બી.એમ., અરવિંદ મિલ, કોચ ઇન્ટરનેશનલ, એસબીઆઇ લાઇફ, ભારત સીટ લિમિટેડ, વસંત ફેબ્રિકેટર, યાઝાકી ઇન્ડિયા, રિલાયન્સ જિયો સહિત – હાજર રહ્યા હતા. આ મેળામાં ૧૦૪૫ ઉમેદવારોએ ભાગ લીધો, જેમાં ઇન્ટરવ્યુ બાદ ૬૯૪ ઉમેદવારોએ નોકરીની ઓફર મેળવી હતી.
જિલ્લા રોજગાર અધિકારીશ્રી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું કે, આવા ભરતી મેળાઓ સ્થાનિક યુવાઓ માટે રોજગારી અને કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ છે અને આવનારા સમયમાં સતત યોજાશે. યુવાઓએ નોકરીમાં જોડાયા બાદ નવીન કૌશલ્યો શીખતા રહેવા જોઈએ, જેથી કારકિર્દી વિકાસ અને પ્રમોશન માટે લાભ મળે. બનાસકાંઠા જિલ્લામાં ઉદ્યોગો માટે ઘણી તકો ઉપલબ્ધ છે અને યુવાઓએ સરકારની યોજનાઓનો લાભ લઈને બિઝનેસ અને એઆઇ (AI) જેવા આધુનિક કોર્સમાં કૌશલ્ય મેળવવું જોઈએ તેમ જણાવ્યું હતું.









