AHAVADANGGUJARAT

સાપુતારા રોપવે પ્રોજેક્ટ મેન્ટેનન્સ કર્મચારીઓના પગારના રૂ.5.60 લાખ ન મળતા કલેક્ટરને ફરિયાદ…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગુજરાતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓની મનપસંદ પ્રવૃત્તિ ગણાતા રોપવે પ્રોજેક્ટમાં ગંભીર નાણાકીય અનિયમિતતા સામે આવી છે.સાપુતારા રોપવેના ઓપરેશન અને મેન્ટેનન્સનું કામ સંભાળતી ખાનગી એજન્સીના કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી.આ મામલે કર્મચારીઓએ આખરે કંટાળીને ડાંગ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઇ-મેલ દ્વારા ફરિયાદ કરી છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે, દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા આપવા છતાં કંપનીના સંચાલકો દ્વારા તેમના હક્કના રૂ. 5.60 લાખ રોકી રાખવામાં આવ્યા છે, જેના કારણે અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના ભીનમાલ સ્થિત ‘આશીર્વાદ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ’ નામની સંસ્થાને સાપુતારા રોપવેના સંચાલન અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી.આ સંસ્થા દ્વારા નવેમ્બર-2025 થી જાન્યુઆરી-2026 ના સમયગાળા દરમિયાન રોપવેનું તમામ ટેકનિકલ અને મેનેજમેન્ટ કાર્ય જોવામાં આવ્યું હતુ.સંસ્થાના પ્રતિનિધિ ઇજનેર બાપુજી પરિડાએ જણાવ્યું હતું કે, તેમની ટીમે આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને રોપવેનું ઓપરેશન સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક સંભાળ્યું હતુ.જોકે, કામ પૂર્ણ થયા બાદ જ્યારે બાકી લેણાંની વાત આવી, ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા ગલ્લાતલ્લા કરવામાં આવ્યા હતા.કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેમના બે મહિનાના બાકી પગારની કુલ રકમ ₹5,60,000/- થાય છે. આ રકમ મેળવવા માટે કર્મચારીઓએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો વારંવાર સંપર્ક કર્યો હતો.અને લેખિતમાં પણ જાણ કરી હતી. તેમ છતાં, મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી કે નાણાં ચૂકવવાની દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. બે મહિનાથી પગાર ન મળવાને કારણે કર્મચારીઓના ઘરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ નાણા નથી, જેના કારણે તેઓ માનસિક અને આર્થિક તણાવ અનુભવી રહ્યા છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કર્મચારીઓએ ડાંગ જિલ્લા કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી કરી છે.કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆતમાં વિનંતી કરવામાં આવી છે કે સંબંધિત એજન્સીને તાત્કાલિક અસરથી બાકી વેતન ચૂકવવા માટે કડક આદેશ આપવામાં આવે.જો કંપની દ્વારા ચૂકવણું કરવામાં ન આવે, તો તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા અને કર્મચારીઓના શોષણને અટકાવવા પણ માંગ કરવામાં આવી છે. સાપુતારા જેવા પ્રવાસન ધામમાં આવી બિનવ્યાવસાયિક વર્તણૂકને કારણે સ્થાનિક પ્રશાસન અને પ્રવાસન વિભાગની છબી પર પણ સવાલો ઉભા થયા છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પ્રશાસન આ બાબતે કેટલું ઝડપી પગલું ભરે છે..

Back to top button
error: Content is protected !!