
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
પ્રાકૃતિક ખેતીની થકી અરવલ્લી જિલ્લાના હફસાબાદ ગામના ખેડૂત પ્રકાશભાઈ પટેલ કરી રહ્યા છે સારી કમાણી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામમાં રહેતા ખેડૂત પ્રકાશભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અદ્ભુત ઉદાહરણ બની રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી હતી અને ખર્ચ વધી રહ્યો હતો, ત્યારે પ્રકાશભાઈએ પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ તરફ વળાંક લીધો. આ પદ્ધતિમાં દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર અને વનસ્પતિઓમાંથી તૈયાર થતા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત અને દશપર્ણી અર્ક જેવા કુદરતી ઇનપુટ્સનો ઉપયોગ કરીને તેઓ ખેતી કરે છે
પ્રકાશભાઈ મુખ્યત્વે શાકભાજીની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના ખેતરમાં ટામેટાં, ભીંડા, રીંગણ, મરચું, પાલક, ગાજર, મૂળા જેવા તાજા અને રસાયણમુક્ત શાકભાજી ઉગાડવામાં આવે છે. ગાય આધારિત પદ્ધતિ અપનાવ્યા પછી તેમનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો છે રાસાયણિક ખાતર અને દવાઓ પર થતો ખર્ચ લગભગ 70-80% ઘટી ગયો છે. આનાથી ઉત્પાદન ખર્ચમાં બચત થઈ છે અને નફો વધ્યો છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજીને સ્થાનિક બજારોમાં ઓર્ગેનિક તરીકે વેચવાથી પ્રીમિયમ ભાવ મળે છે, જેથી તેમની વાર્ષિક આવકમાં સારો વધારો થયો છે.
આ પદ્ધતિના ફાયદા આર્થિક અને આરોગ્ય અને પર્યાવરણ માટે પણ છે. પ્રકાશભાઈ કહે છે કે, “રસાયણમુક્ત શાકભાજી ખાવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સુધર્યું છે. જમીનમાં સૂક્ષ્મજીવો વધ્યા છે, પાણીની જરૂર ઓછી પડે છે અને જમીનની ફળદ્રુપતા કુદરતી રીતે પાછી આવી રહી છે.” તેઓ મલ્ચિંગ અને મિશ્ર પાક (ઇન્ટરક્રોપિંગ)નો ઉપયોગ કરે છે, જેથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને રોગ-જીવાતનું જોખમ ઓછું રહે છે.ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને સ્થાનિક કૃષિ વિભાગના માર્ગદર્શનથી પ્રકાશભાઈએ આ પદ્ધતિ અપનાવી છે. તેમની સફળતા અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વિસ્તારમાં મહત્વનું યોગદાન આપી રહી છે, જ્યાં અનેક ખેડૂતો આ પદ્ધતિ તરફ આકર્ષાઈ રહ્યા છે.





