MORBI:મોરબી ચૂંટણી પહેલા જ જનતાનો આક્રોશ, ‘રોડ-રસ્તા નહીં તો વોટ નહીં’ ના લાગ્યા બોર્ડ




MORBI:મોરબી ચૂંટણી પહેલા જ જનતાનો આક્રોશ, ‘રોડ-રસ્તા નહીં તો વોટ નહીં’ ના લાગ્યા બોર્ડ

મોરબી: ગુજરાતમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને ગરમાવો વધી રહ્યો છે, ત્યારે મોરબીના વોર્ડ નંબર 09 માં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. અહીંની અરિહંત સોસાયટીના રહીશોએ તંત્ર અને રાજકીય નેતાઓ સામે મોરચો માંડ્યો છે.

અરિહંત સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેઓ લાંબા સમયથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. રસ્તાઓ એટલી હદે ખરાબ છે કે વાહન ચલાવવું તો ઠીક, ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ગટરના પ્રશ્નોને કારણે ગંદકી અને રોગચાળાનો ભય સતત સતાવી રહ્યો છે.વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતા રહીશોએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે.’મત માગવા આવવું નહીં’ ના લાગ્યા બેનરો ચૂંટણી નજીક આવતા જ રહીશોએ સોસાયટીના ગેટ પર અને વિવિધ સ્થળોએ વિરોધ દર્શાવતા બોર્ડ લગાવી દીધા છે. આ બોર્ડમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે:”કોઈપણ પાર્ટીના કોઈપણ નેતાએ અરિહંત સોસાયટીમાં મત માગવા આવવું નહીં.”રાજકીય ગરમાવો ચૂંટણી ટાણે જ જનતાનો આ મિજાજ જોઈને રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ નેતાઓ વિકાસના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર જનતા પ્રાથમિક સુવિધાઓ માટે પણ તરસી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર જાગે છે કે પછી રહીશોનો આ બહિષ્કાર ચૂંટણીમાં કોઈ નવો વળાંક લાવશે.




