MORBI:વિરપરડા-બગથળા રોડની બિસ્માર હાલત અંગે આશિક સુમરાએ તંત્રને કરી ધારદાર રજૂઆત”







MORBI વિરપરડા-બગથળા રોડની બિસ્માર હાલત અંગે આશિક સુમરાએ તંત્રને કરી ધારદાર રજૂઆત”


ચોમાસા પહેલા જાગશે તંત્ર? વિરપરડાના પાટીયાથી બગથળા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં
મોરબી જિલ્લાના વિરપરડાના પાટીયાથી શરૂ કરીને બગથળા ગામ સુધીનો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હોવાથી ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ માર્ગ પર તાત્કાલિક પેચવર્ક હાથ ધરવા માટે માર્ગ અને મકાન વિભાગ (R&B) ના કાર્યપાલક ઈજનેરને વિરપરડાના રહેવાશી આશિક સુમરા એ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિરપરડાના પાટીયાથી બગથળા સુધીના આ મુખ્ય રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. આ માર્ગ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય રસ્તો હોવાથી અહીં રોજિંદી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ નાની-મોટી દુર્ઘટનાઓ થવાનો ભય સતત તોળાઈ રહ્યો છે.
આ રસ્તો માત્ર સામાન્ય મુસાફરો જ નહીં, પરંતુ શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ માટે પણ ખૂબ જ મહત્વનો છે. રસ્તાની ખરાબ સ્થિતિના કારણે કટોકટીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
વરસાદના દિવસો હવે ગણતરીના જ બાકી રહ્યા છે, ત્યારે જો ચોમાસા પહેલા આ ખાડાઓનું યોગ્ય પેચવર્ક કે રીપેરીંગ કરવામાં નહીં આવે, તો વરસાદી પાણી ભરાવાને કારણે રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જશે અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગ પાસે માંગ કરી છે કે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ, લોકહિતમાં ચોમાસું બેસે તે પૂર્વે જ આ માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે.



