“શિવનગરમાં લો-વોલ્ટેજથી લોકો ત્રાહિમામ! મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા નાઈએ નવા DPની કરી તાત્કાલિક માંગ”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
થરાદ શહેરના શિવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી લો-વોલ્ટેજની સમસ્યાને લઈને વાવ-થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને થરાદ નગરપાલિકાના સભ્ય ગીતાબેન એસ. નાઈએ કાર્યપાલક ઈજનેર, UGVCL થરાદને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે શિવનગર વોર્ડ નં. 1માં છેલ્લા ઘણા સમયથી લો-વોલ્ટેજની ગંભીર સમસ્યાના કારણે ઘરોમાં એસી, કુલર, ફ્રિજ સહિતના વીજ ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરતા નથી. વધતી વસ્તી અને નવા રહેણાંક વિસ્તારોને કારણે હાલનો ડીપી (ટ્રાન્સફોર્મર) પૂરતો ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગીતાબેન નાઈએ જણાવ્યું કે અગાઉ પણ 29 મે, 2026ના રોજ નવા ડીપી માટે રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે તાત્કાલિક નવા ડીપીની ફાળવણી કરી લો-વોલ્ટેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
સ્થાનિકોમાં પણ વીજળીની સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે UGVCL દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર લોકોની નજર મંડાઈ છે.



