નર્મદા જિલ્લામાં કલેકટર કચેરી સહિત પોલીસ અધિક્ષકની કચેરી ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ બે મિનીટનું મૌન પાળી અધિકારીઓ/કર્મચારીઓએ શહીદવીરોને આપી શ્રદ્ધાંજલિ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦ મી જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે મનાવાય છે. શહીદ દિને સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને આજે સવારે ૧૧=૦૦ કલાકે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની રાહબરીમાં નર્મદા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ/કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પણ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથોસાથ નર્મદા જિલ્લા પંચાયત ખાતે પણ જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુની રાહબરીમાં અધિકારીઓ/કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. જિલ્લાની અન્ય સરકારી કચેરીઓમાં પણ અધિકારીઓ/કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.