વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
પાણીના ટીપે ટીપેથી બને છે મહાસાગર, પાણીથી જ જીવન થાય છે ઉજાગર”
સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના બચકરીયા સિચાઈ તળાવ ખાતેથી શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના બચકરીયા સિચાઈ તળાવ ખાતેથી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના હસ્તે જળ સંગ્રહનો વ્યાપ વધે તે હેતુસર ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2023’નો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો . કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે , આ વર્ષે જળ સિંચન અભિયાન નિયત સમય કરતાં બે મહિના વહેલું શરુ કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનનો ફેબ્રુઆરીથી પ્રારંભ કરાવતા ખેડૂતોને ખેતી માટે વ્યાપક લાભ મળશે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, ૩૨ તળાવો આવનારા સમયમાં ભરવાના છે જેનાથી આજુ બાજુ ના દરેક ગામોને ફાયદો થશે અને સરકાર જ્યારે તમારા ઘરઆંગણે સહાય આપવા આવી છે. ત્યારે તમે પણ કાળજી પુર્વક પાણીનો ઉપયોગ કરો તેવી અપીલ સાથે તળાવમાંથી નીકળતી માટીનો ઉપયોગ ખેતરમાં કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
મહીસાગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨3 અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા રૂ.૪૨૯૮ લાખના વિવિધ ૮૯૧ કામોનું આયોજન કરાયું.
આ કામગીરીમાં તળાવો ઉંડા કરવા, નહેરોની સાફસફાઈ, ચેકડેમ ડીસીલ્ટિગ,કાંસ- કોતરોની સાફ સફાઈ, તળાવ વેસ્ટ વિયર રિપેરીંગ,તળાવ પાળા મજબૂતીકરણ, વન તલાવડી, પાણીની ટાંકી, સંપ, ફિલ્ટર પ્લાન્ટ, વરસાદી ગટર ની સાફ સફાઇનો સમાવેશ થાય છે.