છોટાઉદેપુર કવાંટ ખાતે ભરાતો ગેરનો મેળો માત્ર ભારતમાં જ નહીં વિશ્વ પ્રસિદ્ધ મેળો છે. જેમાં આદિવાસી સંસ્કૃતિનું પ્રત્યક્ષ દર્શન થાય છે.
હોળીના તહેવાર દરમિયાન આદિવાસી સમાજના લોકો ગેરિયા બનાવની માનતા રાખે છે, તેઓ સમગ્ર શરીર પર સફેદ માટીના ટપકા કરી, માથે મારપીચ્છની ટોપી પહેરી ઢોલ થાળી, વાંસળી અને પિહવાના નાદ સાથે લયબદ્ધ નૃત્ય કરતા હોય એ જોવા માટે આદિવાસી સમુદાયના લોકો ઉમટી પડે છે. ગેરિયા બનતા યુવાનો અને વયોવૃદ્ધ પાંચ દિવસ સુધી ગામે ગામ ફરી પૈસા અને અનાજ ઉઘરાવે છે. તેઓ પાંચ દિવસ સુધી સ્નાન કરતા નથી, ઘરનું ખાવાનું પણ ખાતા નથી તેમજ ખાટલામાં સુવાનું પણ ટાળે છે. ગેરનો મેળો એ આદિવાસી પરંપરાને ઉજાગર કરતો મેળો છે. ખાસ કરીને જુવાનિયાઓ પહેરવા માટે વસ્ત્રો એક જ ડિઝાઈનના તૈયાર કરાવડાવે છે. ઉપરાંત આદિવાસી યુવતીઓ પણ એક જ ડિઝાઇન કે કલરના કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લો ( કડીવાળા અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયા, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાસી વગેરે ખાસ કરીને ચર્ચાીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીર્યા, ચાંદીના કડાં ચાંદીના કોટલા (બટન), ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણોથી સજ્જ થઈ ને ગેરના મેળાની મજા માણવા ઉમટી પડતાં હોય છે એક જ ડિઝાઇનના પહેરવેશ માં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવા નો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનના કે એક જ રંગના કપડાં પહેરવાનો હેતુ એ પણ રહેલો છે કે, ગેરના મેળાની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય એ કે માટે ખાસ ડ્રેસ કોડ રાખવામાં આવે છે મેળામાં મોટલા ઢોલ અને વાહળીઓ, ખડખળીસ્થા તેમજ આદિવાસી સમાજની ઓળખસમા તીરકામઠા અને ધારીયા-પાળીયા સાથે ગામેગામથી ઉમટેલા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને એકમેક બની નાચગાન કરી મેળાનો આનંદ લુટયો હતા.કવાંટ ખાતે ભરાતો ગેરનો મેળો માત્ર ભારતમાં જ નહીં વિશ્વ પ્રસિદ્ધ મેળો છે. જેમાં આદિવાસી સંસ્કૃતિનું પ્રત્યક્ષ દર્શન થાય છે. ગેરનો મેળો આદિવાસી સમાજની પરંપરા, લોકસંસ્કૃતિની ઝાંખી કરાવે છે.જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મેળા દરમિયાન કોઇળ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાક ચૌબંધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળામાં કોઇ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પુરતી કાળજી લેવામાં આવી હતી. યાતાયાત નિયંત્રણ સહિત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખડેપગે ફરજ બજાવવામાં આવી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી