૧૬ – એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
કચ્છની નેતાગીરી બેરોજગાર વિદ્યાર્થીઓ માટે ફરી એક વાર નબળી પુરવાર થઇ?
ભુજ કચ્છ :- પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા ટેટ 1 પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ આજે રવીવારે લેવામાં આવી હતી. પરંતુ કચ્છના પી.ટી.સી. પાસ તાલીમાર્થીઓની કરમ કઠણાઈએ કચ્છમાં એક પણ સ્થળે પરીક્ષા કેન્દ્ર મંજુર ન થતા ધોમધખતા તાપમાં પરીક્ષા આપવા રાજકોટનો ધક્કો ખાવો પડ્યો હતો. નવાઈની વાત તો એ છે કે કચ્છમાં મસ મોટી સંકુલો વાળી શાળાઓ હોવા છતાં નબળી નેતાગીરીને કારણે રાજકોટની ખોબલા જેવી સ્કૂલોમાં પરીક્ષા આપવાની ફરજ પડતા તેમની સાથે ગયેલા વાલીઓને રસ્તા પર ખૂણા ખાંચામાં છાંયડાનો આસરો લેવાની ફરજ પડી હતી. તેમાંય નાના નાના બાળકોને સાથે વાલીઓને પણ ધક્કો પડતા બેરોજગાર ઉમેદવારના પરિવારને કચ્છની રાજકીય અને શૈક્ષણિક નબળી નેતાગીરીને કારણે 5000નો ધુમ્બો ખાવાનો વખત આવ્યાનું ચર્ચાઈ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી વખતે ખોબે – ખોબા મત આપનાર કચ્છીઓને ફરી એક વખત નેતાઓ દગો દઈ ગયા છે ત્યારે કચ્છના 5000થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા માટેના ફોર્મ તો ભર્યા હતા પરંતુ કેન્દ્ર મંજુર ન થતા પરીક્ષા આપવાનું જ ટાળી રહ્યાના સમાચાર સાંપડ્યા છે. આના પરિણામ સ્વરૂપે ફરી એક વખત કચ્છ જિલ્લામાં બહારના ઉમેદવારો શિક્ષક તરીકેના નિમણુંક ઓર્ડરો મેળવશે અને હાજર થયાના બીજા દિવસથી જ જિલ્લા બદલી કેવી રીતે થાય તેની મથામણમાં પડી જશે. અને ફરી એક વખત કચ્છનું પાયાનું શિક્ષણ જોખમમાં મુકાશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ફેર બદલી કરાવી જતા શિક્ષકોને લીધે હાલે પણ કચ્છમાં અનેક સ્કૂલો એક શિક્ષક ઉપર ચાલે છે. અને 30% જેટલી શિક્ષકોની ગટ વર્તાય છે. અને આજની પરિસ્થિતિ જોતા આ સીલસીલો ચાલુ રહે એવું લાગી રહ્યું છે. ત્યારે આવતા રવિવારે ટેટ 2ની પરીક્ષા લેવાની છે અને તેનું કેન્દ્ર જો કચ્છને નહીં મળે તો ઉમેદવારોને ઉનાળામાં ધોમ ધખતા તાપમાં અમદાવાદ સુધી જવાની ફરજ પડશે. આ માટે કચ્છની નેતાગીરી ક્યારે જાગશે એવા સવાલો પ્રજામાંથી ઉઠી રહ્યા છે આ સમસ્યાનું વહેલીતકે કોઈ કાયમી નિરાકરણ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.