SABARKANTHAVADALI

વડાલીના સવાસલા પ્રાથમિક શાળાના આચાર્યનો અનોખો પ્રકૃતિ પ્રેમ: ગ્રીન મેન તરીકે સન્માનિત શ્રી સુરેશભાઇ વણકર

વડાલીના સવાસલા પ્રાથમિક શાળાના આચાર્યનો અનોખો પ્રકૃતિ પ્રેમ: ગ્રીન મેન તરીકે સન્માનિત શ્રી સુરેશભાઇ વણકર

તાલુકા-જિલ્લાના કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત સુરેશભાઈ છેલ્લા ૧૫ વર્ષથી એક પણ રજા પાડ્યા વગર પર્યાવરણની જાળવણી કરી રહ્યા છે
શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ.- ચાણક્ય

શિક્ષક સમાજ નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્વસ્થ સમાજ નિર્માણ શિક્ષકો થકી જ થાય છે. આ શિક્ષકો બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંસ્કાર અને જીવન ઘડતર નું કામ પણ કરે છે. આજે વાત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની સવાસલા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ વણકરની.

રાજ્યભરની શાળાઓમાં હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની સવાસલા પ્રાથમિક શાળાના તાલુકા-જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત, ગુણવત્તાસભર શિક્ષણ માટે સન્માનિત અને શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ વણકર વેકેશનમાં પણ છેલ્લા ૧૫ વર્ષથી પર્યાવરણની જાળવણીમાં જોતરાયેલા છે.

૨૦૦૧ થી સુરેશભાઇ જણાવે છે કે, તેઓ ૨૦૦૧ થી સવાસલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. બાળકોને પર્યાવરણના પાઠ ભણાવવા અને પ્રકૃતિની જાળવણી થાય તે માટે તેઓએ વૃક્ષારોપણ ને જીવનમંત્ર બનાવ્યો છે. આજ દિન સુધીમાં ગામમાં ૮૦૦૦થી વધુ વૃક્ષો, તાલુકાની ૧૫ જેટલી શાળાઓમાં બગીચા નિર્માણ, ઇડર ડાયેટ અને વડાલી મામલતદાર કચેરી ખાતે બગીચા તેમજ અનિયાદરા ખાતે ફોરેસ્ટ વિભાગના સહયોગથી નિલગીરી નું વાવેતર કરવામાં આવ્યું હતું.

વધુમાં તેઓ જણાવે છે કે, વૃક્ષો વાવવા આસાન છે પરંતુ તેની માવજત કરવી મુશ્કેલ છે. છેલ્લા ૧૫ વર્ષમાં એક પણ રજા પાડયા વગર શાળામાં અને ગામમાં વાવેતર કરેલ વિવિધ વૃક્ષોની માવજત કરી રહ્યાં છે. આ ઉપરાંત શાળામાં વાવેલ મહેંદીનું જાતે જ કાતરથી કટિંગ કરે છે અને વિવિધ ડિઝાઈન બનાવે છે. સ્વખર્ચે વૃક્ષો અને બગીચાનું રંગરોગાન પણ કરે છે. જેનાથી ગામમાં સુંદરતા અને હરિયાળી જોવા મળે છે. લીમડો, સરગવો, કાડિયો, ગુલમહોર, આસોલાપ, લીંબુડી, બોરસલ્લી જેવા વૃક્ષો વાવે છે જેથી પક્ષીઓને આશ્રય સાથે ખોરાક મળી રહે.

સવાસલા પ્રા.શાળાના આચાર્ય સુરેશભાઈના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે છેલ્લા ૧૫ વર્ષથી તેઓ બહાર ફરવા ગયા નથી કે પોતાના વતનમાં સામાજિક કામ અર્થે જવાનું થાય તો ગામના વ્યક્તિને વૃક્ષોની જવાબદારી સોંપીને જાય છે. છેલ્લા ૧૫ વર્ષથી શાળામાં કે ગામમાં એક પણ છોડ કે વૃક્ષો આજદિન સુધી સુકાવા દીધા નથી આ ઉપરાંત ફૂલ છોડ કે વૃક્ષોને ઉધઈ લાગે તો જાતે જ દવાનો છટકાવ કરીને જીવંત રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરેશભાઇને ગ્રીન મેન તરીકેનું સન્માન પ્રાપ્ત થયુ છે. સાથે જ શિક્ષક તરીકેની પોતાની ફરજ પણ તેઓ સુંદર રીતે નિભાવે છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!