તા.૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કલાઈમેન્ટ ચેન્જની કારણે પર્યાવરણ અને જીવનચક્ર પર થતી અસરો અંગે લોકોને જાગૃત કરવા તેમજ પર્યાવરણ ઉપર થતી આડઅસરો ઓછી કરવા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે સામાજીક વનીકરણ વિભાગ, રાજકોટ (દક્ષિણ) દ્વારા તા. ૦૧ જૂનના રોજ લોધીકા તાલુકા પંચાયત કચેરી ખાતે મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલી યોજવામાં આવી હતી. તેમજ લોકોને પર્યાવરણના જતન પ્રત્યે જાગૃત કરી પર્યાવરણ બચાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ પર્યાવરણની આડઅસરો સામે લડવા માટે પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવો, પાણીની બચત કરવી, વૃક્ષો વાવવા જેવી પર્યાવરણ જાળવણી અંગેની જાણકારી આપવામાં આવી હતી.
આ તકે લોધીકા સરપંચશ્રી સુધાબેન વસોયા, ઉપસરપંચશ્રી દિલીપભાઈ ડી. મારકણા, રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી એચ. બી. મોકરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સિંધવભાઈ, જિલ્લા પંચાયત ન્યાય સમિતી ચેરમેનશ્રી મોહનભાઈ દાફડા તેમજ અગ્રણીઓ મુકેશભાઈ કમાણી, કિશોરભાઈ વસોયા સહિત સંબંધિત અધિકારીઓ તથા પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.