અમેરિકાની દવા કંપની એબોટે સ્વેચ્છાથી બજારમાંથી ડાયજેન જેલ સીરપના કેટલાક જથ્થાને પરત મંગાવી લીધો છે. આ તમામ જથ્થાનું ઉત્પાદન ગોવામાં થયું હતું. એબોટે આ પગલુ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા એક એલર્ટ જાહેર કરવામાં આવ્યા પછી ભર્યું છે. આ સાથે જ કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)એ કહ્યું કે સીરપનો ઉપયોગ કરવાથી વિપરીત અસર થઈ શકે છે.
કેટલાક લોકોએ ડાયજેન જેલ વિશે ફરિયાદ કરી હતી, જેના પછી DCGIએ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.લોકોએ કહ્યું હતું કે ઓગસ્ટની શરૂઆતમાં જ્યારે તેઓએ સીરપ ખરીદી ત્યારે બોટલમાં રહેલું પ્રવાહી સફેદ થઈ ગયું હતું. આ ઉપરાંત, તેનો સ્વાદ કડવો હતો અને તેની તીવ્ર ગંધ પણ હતી. સામાન્ય રીતે આ સીરપ મીઠા સ્વાદ સાથે ગુલાબી રંગની હોય છે.
DCGIએ એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે એબોટના ગોવા યુનિટ દ્વારા ઉત્પાદિત ડાયજેન જેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે તમામ ડોકટરોએ તેમના દર્દીઓને તેના ઉપયોગ વિશે સાવચેતી રાખવી જોઈએ અને જો કોઈ ગંભીર લક્ષણો દેખાય તો તેમને જાણ કરવી જોઈએ.તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત અધિકારીઓને ડિજેન જેલના વેચાણ, વિતરણ અને સ્ટોકિંગ પર નજર રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.
એબોટ ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તે તમામ ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ કહ્યું કે તે આ મામલાની તપાસ કરવા અને સુધારાત્મક પગલાં લેવા માટે DCGI સાથે કામ કરી રહી છે.કંપનીએ અગાઉ મિન્ટના એક બેચ અને ઓરેન્જ ફ્લેવરના ચાર બેચને પાછી મંગાવી હતી પરંતુ બાદમાં મિન્ટ, ઓરેન્જ અને મિક્સ્ડ ફ્રૂટ ફ્લેવરના તમામ બેચને પાછી મંગાવવામાં આવી હતી.
ડાયજેન એસિડિટી અને તેના લક્ષણો જેમ કે હાર્ટબર્ન, પેટમાં દુખાવો અને ગેસથી રાહત આપવા માટે જાણીતું છે. તેનો ઉપયોગ ગેસ્ટ્રાઇટિસ (પેટના અસ્તરની બળતરા) અને એસિડ રિફ્લક્સ (એવી સ્થિતિ જ્યાં પેટનું એસિડ અન્નનળીમાં પાછું વહે છે)ની સારવાર માટે પણ થાય છે.ડાયજેન પેટના એસિડને બેઅસર કરવા માટે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા મૂળભૂત રાસાયણિક સંયોજનો ધરાવે છે.